આજે ગુરુ પુષ્ય નક્ષત્રઃ કોરોના પછી પ્રથમ વાર ઝવેરી બજારની ખોવાયેલી ચમક પાછી ફરી, બજારમાં સવારથી ઘરાકીથી ઊભરાઈ છે
ઝવેરી બજારની ખોવાયેલી ચમક પાછી ફરી
ધર્મગ્રંથોમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભ મનાય છે
ચોપડાની ખરીદી માટે વેપારીઓ ઊમટ્યા
સનાતન હિન્દુ ધર્મગ્રંથોમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઊર્જા અને શક્તિ પ્રદાન કરનાર નક્ષત્ર. આજે ગુરુપુષ્યામૃત યોગ સાથે પાંચ શુભ યોગ બની રહ્યા છે. આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્વિનાં દેવી મા લક્ષ્મીનો જન્મ થયો છે. જ્યારે ગુરુવાર અથવા રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર અથવા રવિ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ અક્ષય તૃતીયા, ધન તેરશ, દિવાળી જેવી ધાર્મિક તિથિની જેમ જ શુભ છે.
ઝવેરી બજારોમાં સવારથી જ ઘરાકીથી ઊભરાઈ
સોની એસોસીએશનનાં સૂત્રો અનુસાર આજે શહેરમાં રૂ.૧૦૦થી ૧૨૫ કરોડનાં સોનાનું વેચાણ થવાનો અંદાજ છે. જેમાં રૂ. ૫૫થી ૬૫ કરોડનાં એડવાન્સ બુકિંગ થયાં છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ૭૦ ટકા વેચાણ વધારે થવાની શક્યતા છે. કોરોનાના કપરા ૧૯ મહિના પછી પ્રથમવાર ઝવેરી બજારમાં ખોવાયેલી ચમક પાછી જોવા મળી છે. આજે ગુરુવારે દીપાવિલ પહેલાં ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ યોગ હોવાથી તમામ ઝવેરી બજારોમાં સવારથી જ ઘરાકીથી ઊભરાઈ છે.
આ વર્ષે ઓછા વજનની લગડી-સિક્કાનું વેચાણ વધારે
કોરોના બાદ નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. લોકો ઈન્વેસ્ટમેન્ટ અને તહેવારમાં સોનાની ખરીદી માટે લગડી વધારે પસંદ કરી રહ્યા છે. આ વર્ષે ઓછા વજનની લગડી-સિક્કાનું વેચાણ વધારે થવાથી બુલિયન વેપારીઓએ તેનો સ્ટોક વધારે કર્યો હતો. જ્યારે પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની સાથે ડાયમંડ પ્લેટિનમ, ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ અને વાહન વધુ વેચાશે. ગુરુ પુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ગુરુ અને શનિ, શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એક સાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને તેમના પર ચંદ્રની દૃષ્ટિ પડે છે. જેને કારણે ગજકેસરી યોગ બને છે. ચંદ્ર ધનનો કારક ગ્રહ છે. આ યોગ દરેક પ્રકારે મંગળકારી ગણાય છે. ૬૭૭ વર્ષ પહેલાં ૫ નવેમ્બર ૧૩૪૪ના રોજ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો.
યજમાનોએ અગાઉથી જ દાગીનાનું બુકીંગ કરાવે છે
જ્યોતિષશાસ્ત્રમાં ૨૭ નક્ષત્રોમાં આઠમું નક્ષત્ર 'પુષ્ય' છે.જેને સૌથી શુભ નક્ષત્ર ગણવામાં આવે છે. આ દિવસ સોનું તથા અન્ય વસ્તુની ખરીદી તથા ઈન્વેસ્ટમેન્ટના હેતુથી અત્યંત શુભ મનાય છે. આ દિવસે મુહૂર્તમાં ભવન, ભૂમિ, વાહન, આભૂષણ સહિત અન્ય ખરીદી કરવી શ્રેષ્ઠ કહેવાય છે. આ યોગમાં ખરીદી કરાયેલ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે. તેમજ શુભ ફળ પ્રદાન કરે છે. આજે કેટલાક સુખી સંપન્ન પરિવારો અને લગ્નના અવસરો આયોજીત થયા હોય તેવા યજમાનોએ અગાઉથી જ દાગીનાનું બુકીંગ કરાવ્યું છે.
ચોપડાની ખરીદી માટે વેપારીઓ ઊમટ્યા
હાઈટેક યુગમાં પણ આજે પરંપરાગત હિસાબના ચોપડાની માગ યથાવત્ રહી છે. દિવાળીમાં પરંપરાગત રોશની માટીના દીવડા અને આસોપાલવનાં તોરણ સહિત લક્ષ્મી પૂજનની પરંપરા જળવાઈ રહી છે. તેવી જ રીતે અત્યારે મોટા ભાગના હિસાબો કમ્પ્યૂટર, લેપટોપમાં લખાતા હોવા છતાં હિસાબી ચોપડાઓની માગ યથાવત્ છે. દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે હિસાબી ચોપડાઓનું પણ પૂજન કરે છે.
કારીગરોના કહેવા પ્રમાણે ચોપડાના કાગળને સળ પાડવાની હોય
આજે સવારથી ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓએ હિસાબી ચોપડાની ખરીદી શરૂ કરતાં બજારમાં મોટા પ્રમાણમાં ભીડ જામી હતી. અમદાવાદના ચોપડા બજારમાં રોજમેળ, ખાતાવહી જેવા હિસાબી ચોપડાનો ફૂલ સ્ટોક ગોઠવાયો છે. વેપારીઓને કામમાં આવતા રોજમેળ, ઉઘરાણીબુક, ખાતાવહી જેવા હિસાબી ચોપડા દોરીથી બાંધીને બનાવવામાં આવતા હોય છે. કારીગરો દિવાળી પહેલાં છ મહિનાથી જ ચોપડા બાંધવાની કામગીરી શરૂ કરી દેતા હોય છે. કારીગરોના કહેવા પ્રમાણે ચોપડાના કાગળને સળ પાડવાની હોય, પૂઠાં બનાવવાનાં હોવાથી એક ચોપડો બાંધતા એક કલાક લાગે છે.