કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અને સભ્ય નોંધણી મહાઅભિયાન કરશે, જ્યારે સરદાર પટેલ સેવાદળ(SPG)ના પૂર્વિન પટેલનું જૂથ રાજ્યમાં આશીર્વાદ યાત્રા કાઢશે
SPG કરશે આશીર્વાદ યાત્રા
પૂર્વિન પટેલના જૂથની આશીર્વાદ યાત્રા
ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત
ચૂંટણી પહેલા SPG ગુજરાતમાં આશીર્વાદ યાત્રા કરશે. પૂર્વિન પટેલનું જૂથ રાજ્યમાં આશીર્વાદ યાત્રા યોજશે, SPG યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતથી થશે. તેની સાથે સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ યાત્રા યોજાશે. આશીર્વાદ યાત્રાને લઇને પૂર્વીન પટેલે નિવેદન આપ્યુ હતુ કે 21 હજાર સભ્યો જોડવાના સંકલ્પ સાથે યાત્રા યોજવાનો નિર્ધાર છે. નવા માળખાની જાહેરાત પણ કરાશે. લાલજીભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. લાલજીભાઈને આમંત્રણ આપ્યું પણ હજુ જવાબ નથી આપ્યો. ચૂંટણીમાં SPGનો રોલ મહત્વનો જ રહેશે. અમે કોઈ પાર્ટીના આશીર્વાદ લેવાના નથી તેમ પૂર્વિન પટેલે જણાવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે લાલજી પટેલ અને પૂર્વિન પટેલના અલગ-અલગ જૂથ છે.
કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અને સભ્ય નોંધણી મહાઅભિયાન કરશે
તો બીજી તરફ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસે ઘડેલી રણનીતિની અમલવારી શરૂ થઈ છે. તે અંતર્ગત આગામી તારીખ 14થી લઈને 5મી માર્ચ સુધી કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અને સભ્ય નોંધણી મહાઅભિયાન કરશે. 14થી 24 તારીખ દરમિયાન ગ્રામ્ય વિસ્તાર માટે અને 25થી5મી માર્ચ સુધી શહેરી વિસ્તારમાં આ અભિયાન ચલાવવામાં આવશે.
શું છે કોંગ્રેસનું આગામી આયોજન?
આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસના 250 આગેવાનો દરરોજ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરશે. સમગ્ર તાલુકા - જિલ્લા પંચાયત બેઠક પર સભ્ય નોંધણી મહઝુંબેશ શરૂ થશે. 14થી 24 તારીખ વચ્ચે પહેલા તબક્કામાં ગ્રામીણ વિસ્તારમાં પેજ પ્રભારી બનાવશે. 25થી 5મી માર્ચ સુધીના બીજા તબક્કામાં શહેરોમાં બુથ પ્રમાણે પેજ પ્રભારી બનાવાશે. આ ઝુંબેશની સાથે પ્રજાના પ્રશ્નો જેવા કે પેપર ફૂટવા, જમીન માપણી, કોરોના વળતર મુદ્દે લોકસંપર્ક કરશે.લોકસંપર્ક દરમિયાન મળેલા લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો ઘડીને રોડ ઉપર ઉતરશે.