રાજ્યસભામાં આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો અનુભવ મળતો રહેશે. આપે તમામ ભૂમિકાઓ સારી રીતે નિભાવી. મેં આપને કેટલીય ભૂમિકામાં જોયા છે. તે ઉપરાંત છટાદાર ભાષણ માટે વખણાતા પુરુષોત્તમ રૂપાલાએ પણ વેંકૈયા નાયડૂ માટે દૂહા અને ગીત ગાયા હતા.
આજે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ સમાપ્ત થવા પર વિદાય સમારંભ યોજાયો હતો. આ દરમિયાન દરમિયાન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ અભિનંદન વક્તવ્ય રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે દૂહા અને ગીત ગાયા હતા. 'એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે...' જુઓ વીડિયો
આ ઉપરાંત સરદાર પટેલ પ્રત્યે વેંકૈયા નાયડૂના પ્રેમ પ્રત્યે વાત કરતાં કહ્યું હતું કે મને ખાસ ખબર છે કે વેંકૈયા નાયડૂ ઘરમાં,ઓફિસમાં તેમજ હાલના સત્તાવાર નિવાસસ્થાનમાં એક વ્યક્તિનો ફોટો છે જે ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલનો છે. હું ગુજરાતી તરીકે આપના આ સરદાર પ્રત્યેની ભાવનાને સેલ્યુટ કરું છું
...અમને અંગ્રેજીમાં બહુ ટપ્પો પડ્યો ન હતો: પુરુષોત્તમ રૂપાલા
આ ઉપરાંત તેમણે ભૂતકાળની વાતોને વાગોળતાં કહ્યું હતું કે ગુજરાતની અંદર 1996-97માં ખૂબજ વિકટ આંતરિક મુશ્કેલી ઊભી થઈ હતી. અને અમારું ગુજરાત ભાજપ એક સંકટ માંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વેંકૈયા નાયડૂએ ગુજરાતની કમાન સંભાળતા 15 દિવસ ગુજરાતનું કેમ્પેઇન કર્યું હતું. અને અમને બળ અને સધિયારો આપ્યો હતો. ગુજરાત ભાજપની ક્ષમતામાં આજે જે વધારો થયો છે તેમાં વેંકૈયા નાયડૂની પણ મહત્વની ભૂમિકા છે. તેઓ સાંજે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી થાક્યા પાક્યા ગાંધીનગર આવતા ત્યારબાદ ધારાસભ્યો સાથે બેઠક કરતાં અને અંગ્રેજીમાં સમજણ આપતા પણ કઠિણાઈએ હતી કે અમને ઘણાખરાને તે વખતે ઈંગ્લિશ બહુ આવડતું ન હતુ તેથી જયનારાયણભાઈ વ્યાસ અનુવાદ કરી ગુજરાતીમાં કહેતા એ દિવસો હજુ પણ આંખ સામે તરે છે.
વેંકૈયા નાયડૂએ હંમેશા યુવાનોને માર્ગદર્શન આપ્યું
તો આ તરફ પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના વિદાય સમારંભમાં તેમના પુસ્તકનો ઉલ્લેખ પણ કર્યો, તેમણે કહ્યું કે, આપના પુસ્તકથી યુવાનોને પ્રેરણા મળે છે. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ હંમેશા દેશના યુવાનોને માર્ગદર્શન આપ્યું છે. મેં આપને દરેક ભૂમિકામાં ખૂબ જ નજીકથી જોયા છે.
નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, દેશ પોતાના આગામી 25 વર્ષની નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે લોકો લોકતંત્ર વિશે આપની પાસેથી ઘણુ શિખી શકીએ છીએ. આપ દરેક જવાબદારીની પુરી નિષ્ઠાથી નિભાવી શકો છો. નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે.
તમારી સાથે કામ કરવું અમારુ સૌભાગ્ય
પીએમ મોદીએ આગળ કહ્યું કે, નાયડૂજીની દરેક વાત સ્પષ્ટ હોય છે. વેંકૈયા નાયડૂની સાથે કામ કરવું અમારુ સૌભાગ્ય છે. હું આપના માપદંડોમાં પરિપક્વતા જોઉ છું. આપના સંવાદ, સંપર્ક અને સમન્વય દ્વારા ફક્ત સદનને સંચાલિત જ ન કર્યું, પણ તેને પ્રોડક્ટિવ પણ બનાવ્યું. જ્યારે પણ સદનમાં ટકરાવની સ્થિતિ હોય છે, ત્યારે આપ નિર્ણાયક ભૂમિકા ભજવો છો.