પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધૂના વિવાદિત નિવેદન બાદ તેઓ ચર્ચામાં છે. હવે તેમના વિવાદિત નિવેદન બાદ તેઓ પોતાના જ મંત્રીઓના નિશાને છે.
સિદ્ધૂએ તાજેતરમાં નિવેદન આપ્યું હતુ કે તેમના કેપ્ટન અમરિંદર સિંહ નથી પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે. જે બાદ પંજાબ સરકારના અનેક મંત્રીઓએ સિદ્ધૂનું રાજીનામુ માગ્યું. આજે પંજાબ કેબિનેટની પણ બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે આ મુદ્દે મોટો નિર્ણય આવી શકે છે.
સિદ્ધૂના નિવેદન બાદ પંજાબમાં પોસ્ટર વોર પણ શરૂ થયું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પંજાબના કેપ્ટન કોણ? સિદ્ધૂએ કહ્યું કે પંજાબની તમામ ગલીઓમાં પોસ્ટર લાગ્યા છે.
જેમાં લખ્યુ છે કે પંજાબના કેપ્ટન જ અમારા કેપ્ટન.. એટલે કે પંજાબના લોકો કેપ્ટન અમરિંદર સિંહને જ પોતાના મુખ્યમંત્રી માને છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ પંજાબમાં કેબિનેટની બેઠક યોજાશે. એક મળતાં અહેવાલ મુજબ રાજ્યના કેટલાક મંત્રીઓ કેબિનેટની બેઠક અગાઉ આ મુદ્દે અલગથી બેઠક કરી કેબિનેટમાં આ મુદ્દો ઉઠાવવાનો નિર્ણય લઇ શકે છે.
જેમાં સિદ્ધુ પોતાનું નિવેદન પરત ખેંચે અથવા માફી માગે તેમ કહેવામાં આવી શકે છે. જો આમ નહીં કરવામાં આવે તો સિદ્ધુને મંત્રીપદ પરથી રાજીનામું આપવા સમજાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ત્રણ મંત્રીઓએ સિદ્ધુ પર આકરા પ્રહાર કર્યાં છે.
જ્યારે રાજ્ય સરકારના અંદાજે 10 મંત્રીઓ સિદ્ધુના નિવેદનથી નારાજ ચાલી રહ્યાં છે. જ્યારે પંજાબની ગલીઓમાં પોસ્ટર લાગ્યા છે જેમાં 'પંજાબનો કેપ્ટન અમારો કેપ્ટન' એટલે કે પંજાબના લોકો માટે કેપ્ટન અમરિંદર સિંહ જ મુખ્ય છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મુદ્દે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે અમરિંદર સિંહ સેનાના કેપ્ટન છે મારા કેપ્ટન રાહુલ ગાંધી છે. અને કેપ્ટન (અમરિંદર સિંહ)ના કેપ્ટન પણ રાહુલ ગાંધી છે.