પંજાબમાં કોરોના વાયરસ (Coronavirus)થી પોઝિટિવ એક વ્યક્તિનું 18 માર્ચે મોત થયુ હતું. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસના 33 કેસમાંથી 23 કેસમાં તેના કારણે જ વાયરસ ફેલાયો છે. કોરોના વાયરસથી સંક્રમિત 70 વર્ષનો આ વ્યક્તિ પંજાબમાં એક ગુરુદ્વારાનો ગ્રંથી હતા.
પંજાબમાં કોરોના વાયરસથી પોઝિટિવ એક વ્યક્તિનું 18 માર્ચે મોત થયુ હતું
કોરોના વાયરસથી પોઝિટિવ ગ્રંથી બે સપ્તાહ માટે જર્મની અને ઇટલી ગયા હતા
તેઓ બાજુના જ ગામમાં પોતાના બે મિત્રોની સાથે બે સપ્તાહ માટે જર્મની અને ઇટલી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓએ ખુદને આઇસોલેશનમાં રહેવાનું હતું પરંતુ એમ ન કરતા તેઓએ ઘણી સંખ્યામાં લોકો સાથે મુલાકાત કરી. તેઓ 6 માર્ચે દિલ્હી પણ આવ્યા અને ત્યાંથી પંજાબ ગયા હતા.
ગ્રંથીના આવવા-જવા પર નજર રાખનારા અધિકારીઓ અને તેમનાથી સંક્રમણનો શિકાર બનેલા લોકોથી જાણવા મળ્યું કે તેઓ 8થી 10 માર્ચ આનંદપુર સાહિબમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા અને બાદમાં પોતાના ગામ પરત ફર્યા. તેમનું ગામ શહીદ ભગતસિંહ નગર જિલ્લામાં છે.
કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ જાહેર થયા પહેલા ગ્રંથી લગભગ 100 લોકોના સંપર્કમાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેઓે અને તેમના મિત્રો પંજાબના લગભગ 15 ગામ ગયા હતા. તેમના પરિવારમાં 14 લોકો પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
આ ઘટના બાદ અધિકારીઓ એ તમામ ગામમાં ફરીને એ વ્યક્તિઓની શોધ કરી રહ્યા છે જે આ લોકોના સંપર્કમાં આવ્યા છે. હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય કારણે નવાંશહર, મોહાલી, અમૃતસર, હોશિયારપુર અને જાલંધરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓ સામે આવ્યા છે.