ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની શરૂઆત પહેલાં પંજાબ કિંગ્સે તેમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મયંક અગ્રવાલ પંજાબ કિંગ્સના આગામી કેપ્ટન હશે. મેગા ઓક્શન પહેલા મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સે રિટેન કરી લીધો હતો, ત્યારે હવે સીઝનની શરૂઆત પહેલાં જ ટીમે નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.
IPL 2022 પહેલાં મોટી જાહેરાત
પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે મયંક અગ્રવાલની નિમણૂંક
મયંક અગ્રવાલને 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો
પંજાબ કિંગ્સની કમાન પહેલાં કેએલ રાહુલના હાથમાં હતી પરંતુ મેગા ઓક્શન પહેલાં જ તેઓ ટીમથી અલગ થઇ ગયા હતાં. કેએલ રાહુલ હવે આઇપીએલની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન છે, તેઓને 17 કરોડમાં સાઇન કરાયા છે. જો મયંક અગ્રવાલની વાત કરીએ તો તેઓ વર્ષ 2018થી જ પંજાબ કિંગ્સના જ એક ભાગ રહ્યાં છે. તેઓ ટીમના ઉપ-કેપ્ટન રહ્યાં છે અને કેટલીક મેચમાં ટીમની કેપ્ટશિપ પણ કરી છે.
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને રૂપિયા 12 કરોડમાં રિટેન કર્યા હતાં. મયંક સિવાય પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહને ચાર કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતાં. કેપ્ટન બન્યા બાદ મયંક અગ્રવાલે નિવેદન આપ્યું હતું કે, લાંબા સમયથી આ ફ્રેન્ચાઇઝ સાથે જોડાયેલ છે. એવામાં તેઓની માટે આ મોકો મળવો એ ખૂબ મોટા સન્માનની વાત છે.
તમને જણાવી દઇએ કે, પંજાબ કિંગ્સે આ વખતે શિખર ધવનને પણ ખરીદ્યો છે, એવામાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, મયંક અગ્રવાલ અથવા તો શિખર ધવનમાંથી કોઇ એક ખેલાડીને ટીમની કમાન સોંપાઇ શકે છે પરંતુ પંજાબની ટીમે પોતાના જૂન સાથીદાર પર જ ભરોસો મૂક્યો છે.