પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીની અમિત શાહને મળ્યા
કેપ્ટન અમરિંદર સિંહે નવી દિલ્હીમાં કરી મુલાકાત
PLCનું BJPમાં વિલયના સમાચારનું ખંડન કર્યું
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગૃહ મંત્રી સાથે પોણો કલાકની મુલાકાત બાદ અમરિંદર સિંહ બહાર આવ્યા હતા. પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC) ના ભાજપમાં વિલયના સવાલને નકારતા તેમણે કહ્યું કે આ માત્ર અટકળો છે.
વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે
અમરિંદર સિંહે આ પહેલા 30 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ અંગે તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે, તેમણે પીએમ સાથે પંજાબ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત, પંજાબ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને રાજ્ય અને દેશની સુરક્ષા અને સલામતી માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો હતો, જે હંમેશાં આપણા બંને માટે સર્વોપરી રહ્યું છે અને રહેશે."
પીએલસીને ભાજપમાં ભેળવવાની ચર્ચા હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના લગભગ બે સપ્તાહ બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અમરિંદર સિંહ તેમની નવી રચાયેલી પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં ભેળવી શકે છે. જો કે ગૃહમંત્રીને મળ્યા બાદ તેમણે આ ચર્ચાઓને નકારી છે.
ભાજપ સાથે ચૂંટણી લડી હતી.
અમરિંદર સિંહે 2002-2007 અને ફરીથી 2017-2021 દરમિયાન લગભગ નવ વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને બાદમાં પોતાની નવી પાર્ટી પીએલસી શરૂ કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, ચૂંટણીમાં ગઠબંધન સારું પ્રદર્શન કરી શક્યું ન હતું અને કેપ્ટન અમરિંદર સિંહ પોતાની બેઠક પણ બચાવી શક્યા ન હતા. રાજ્યમાં પહેલીવાર આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવી હતી.