વર્ષ 2022માં ઘણા બધા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે મુખ્યમંત્રી ચહેરાને લઈને આમ આદમી પાર્ટીમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીમાં ગજગ્રાહ વધ્યો
ભગવંત માનને મુખ્યમંત્રી ચહેરો મનાવવા માટેની માંગ તેજ
અમે પાર્ટીને માનનું નામ જાહેર કરી દેવા માટે મજબૂર કરી દઇશું : જગસીર સિંહ
વર્ષ 2022માં ભારતનાં કેટલાક મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. જેમા પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત ખૂબ મહત્વના રાજ્ય કહી શકાય. ભાજપ અને કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી ઘણા બધા રાજ્યોમાં દાવ રમી રહી છે ત્યારે પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગજગ્રાહ વધી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીમાં પણ ગજગ્રાહ
એક તરફ પંજાબમાં જ્યાં કોંગ્રેસની અંદર સિદ્ધુ અને સિંઘ વચ્ચે જબરદસ્ત ટક્કર ચાલી રહી છે. બીજી તરફ હાલમાં જ એક સર્વેમાં સામે આવ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ મુખ્યમંત્રીનાં ચહેરાને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે.
મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે માંગ
આમ આદમી પાર્ટીનાં મોટા નેતા ભગવંત માનન સમર્થકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે માનને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવે. કેટલાક સમયથી ભગવંત માન પોતે તો શાંત છે પરંતુ અંદરખાને સમર્થકો સાથે પોતાના માટે રણનીતિ બનાવી રહ્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ચહેરાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના નેતા જગસીર સિંહે કહ્યું કે અમારી ઈચ્છા છે કે ભગવંત માનને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવે. 2017માં આમ આદમી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે કોઈ ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો નહીં. તેમણે કહ્યું કે અમે પાર્ટીને ભગવંતનું નામ જાહેર કરવા માટે મજબૂર કરી દઇશું.
દિલ્હી બાદ વધુ એક રાજ્ય જીતી શકશે આમ આદમી પાર્ટી?
નોંધનીય છે કે દિલ્હીથી બહારનાં કોઈ રાજ્યમાં પોતાની સરકાર બનાવવા માટે થનગની રહેલ આમ આદમી પાર્ટી આ વખતે પંજાબમાં તમામ 117 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા જઈ રહી છે. પાછલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વીસ બેઠકો પર જીત હાંસલ થઈ હતી.