14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જ્યારે આખી દુનિયા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી ત્યારે ભારતના બહાદુર 40 જવાનોની પાકિસ્તાને દગાબાજીથી હત્યા કરી નાખી હતી.
પુલવામા હુમલાની બીજી વરસીએ આ સ્ટોરી તમને રડાવી દેશે
માતા પિતાની એકની એક સંતાને પોતાનું જીવન ભારત માતાના ચરણે ધરી દીધું હતું
આ હિચકારા હુમલાના કારમા ઘાની સ્મૃતિ આજે પણ દરેક દેશવાસીના હ્રદયમાં તાજા છે
2019ની 14 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિશ્વ આખું વેલેન્ટાઇનની ઉજવણીમાં મગન હતું ત્યારે જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. બે વર્ષ પહેલા થયેલા આત્મઘાતી હુમલામાં CRPF ના 40 જવાન શહીદ થયા હતા. આજે પણ તે શહીદોની સ્મૃતિ દેશવાસીઓના હૃદયમાં તાજી છે. દેશ આ શહીદોના બલિદાન ને ક્યારેય ભૂલી શકશે નહીં કે તે આ હુમલા પાછળની કાયરતાને અને ક્રૂરતાને પણ નહીં ભૂલે.
પુલવામામાં થયો હતો આતંકી હુમલો
પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ના જવાનોના કાફલામાં વિસ્ફોટકોથી ભરેલી કારને બસમાં ઘૂસાડી દીધી હતી. આ હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા, તેમાંથી એક પંજાબના રોપડ જિલ્લાનો કુલવિન્દર સિંહ હતો. 26 વર્ષીય શહીદ કુલવિન્દર સિંઘ તેના માતાપિતાનો એકમાત્ર સંતાન હતો.
કુલવિન્દરની શહાદત બાદ તેના વૃદ્ધ માતા-પિતા હવે આ દુનિયામાં એકલા થઈ ગયા છે, તેમની દુનિયા તેમનો પુત્ર હતો જે હવે આ દુનિયામાં નથી. બંનેએ તેમના દીકરા સાથે દિવસની શરૂઆત કરતાં હતા અને પુત્ર સાથે જ દિવસ પૂરો કરતાં હતા. પુત્ર ગયો, પણ માતા-પિતા માટે હજુ પણ દીકરા હોવાનો અહેસાસ નથી ભૂલી શકાતો.
માતા પિતા આજે પણ કુલવિન્દરના ઓરડાની સારસંભાળ રાખી રહ્યા છે
કુલવિન્દરની પથારીની ચાદરો બદલવાથી માંડીને રોજિંદા સફાઇ કામ કરવા સુધીના માતા-પિતા પોતાને વ્યસ્ત રાખે છે. રાત્રે તેઓ કુલવિન્દરના ફોટોને સલામ કરે છે અને માતા પુત્રને પ્રેમથી સૂવડાવવા જાય છે અને તે પછી તે બંને સૂઈ જાય છે. કેટલીકવાર માતા કુલવિન્દરની તસવીર તેના ખોળામાં લગાવીને સૂતી રહે છે. તે કહે છે કે તેમને લાગે છે કે તેમનો દીકરો તેના ખોળામાં સૂઈ રહ્યો છે અને તે તેના વાળમાં હાથ ફેરવી રહી છે.
સવારે અને સાંજે કુલવિન્દરની આરતી થાય છે. તેમના પિતાએ કહ્યું કે તેમને તેમના દીકરા પર ગર્વ છે કે તેણે દેશ માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું છે. તેમણે કહ્યું કે અમે સવાર-સાંજ તેની સામે દીવો પ્રગટાવીએ છીએ અને ભગવાનને તેના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.
દીકરા માટે આજે પણ રોજ સવારે બને છે ચા
દરરોજ સવારે ત્રણ કપ ચા ઘરે બનાવવામાં આવે છે. માતા ચા બનાવે છે અને પહેલા પુત્ર કુલવિન્દરના રૂમમાં પહોંચે છે. અહીં, કુલવિન્દરની તસવીરની સામે ચાના કપ મૂકવામાં આવ્યા છે અને તેના માતાપિતા બે કપ ચાની સામે બેસીને તે પીવે છે. ત્યારબાદ કુલવિન્દરને ભોગ તરીકે ધરાવાયેલી ચા બંને પી લે છે.
માતાપિતા એ આજે પણ કુલવિન્દરનો ઓરડો તે જ રીતે રાખ્યો છે. કુલવિન્દરના ઓરડામાં તેના બધા એવોર્ડ્સ, કપ અને તે શાળામાંથી કોલેજ સુધીના તમામ સમ્માન સાચવીને વ્યવસ્થિત રાખવામાં આવ્યા છે. આ પલંગ તેના રૂમમાં સજ્જ છે. કુલવિન્દરની તસવીર પલંગની ઉપર જ રાખવામાં આવી છે.
પુત્રના આર્મી જેકેટને પિતા પોતાના શરીરથી અળગો નથી કરતાં, તેનામાં પુત્રની હાજરીનો અનુભવ થાય છે
કુલવિન્દરના માતાપિતાને ખ્યાલ છે કે પુત્ર શહીદ થઈ ગયો છે, પરંતુ તેઓ તેની હાજરીને પ્રત્યેક ક્ષણે અનુભવે છે. પિતા દરરોજ તેના પુત્રની આર્મી જેકેટ અને કપડાં પહેરે છે. તે કહે છે કે આ કપડા પહેરીને તેમને લાગે છે કે તેમનો પુત્ર તેનામાં વીંટળાયેલો છે.