નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કેબિનેટમાં વાપસીને લઇને રાજકારણ ગરમાયું છે. ચર્ચા ચાલી રહી છે કે, નવજોત સિંહ સિદ્ધુ ફરીએકવાર કેબિનેટમાં જોરદાર વાપસી કરી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, તેમને પંજાબના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કેબિનેટ થઇ શકે વાપસી
નાયબ મુખ્યમંત્રી તરીકે ફરી શકે પરત
કેપ્ટન સરકારથી કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની અટકળો
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઇચ્છી રહ્યા છે કે, સિદ્ધુને પંજાબના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે અને આ બાબત પર તેઓ અમરિંદર સિંહ સાથે વાત કરી ચૂક્યા છે.
કેપ્ટન સરકારથી કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની અટકળો
માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન સરકારથી કેટલાક ધારાસભ્યો નારાજ છે અને નારાજ ધારાસભ્યો સિદ્ધુની આગેવાની ઇચ્છી રહ્યા છે, આ કારણે નવજોત સિંહ સિદ્ધુની કેબિનેટમાં વાપસી થવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનું સ્થાન પણ આપવામાં આવી શકે છે.
સિદ્ધુની નાયબ મુખ્યમંત્રી તરીકે થઇ શકે વાપસી
ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુની કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની વાપસીના સમાચારને લઇને સુનીલ જાખડે ઇન્કાર પણ કર્યો નથી કારણકે તેમણે એવું જણાવ્યું હતું કે, નિર્ણય હાઇકમાન્ડ લેશે.
આપના ધારાસભ્યએ સાધ્યું કેપ્ટન સરકાર પર નિશાન
બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલતાર સિંહ સંધવાએ કેપ્ટન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેપ્ટન કામકાજ યોગ્ય રીતે કરવામાં અસફળ રહ્યા છે. સિદ્ધુની સાથે તેમની પાર્ટીના કેટલાક નેતાઓ પણ નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપે કોંગ્રેસનો આંતરિક મામલો ગણાવ્યો
વિપક્ષ ભાજપે આ મામલાથી દૂર રહેતા કહ્યું કે, કોંગ્રેસનો આ આંતરિક મામલો છે, તેમણે નક્કી કરવાનું છે કે, સિદ્ધુને શું જવાબદારી આપવી.
કોંગ્રેસના નેતાએ પણ આપ્યું છે નિવેદન
ગિદડબાહાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિંદરસિંહ રાજા વડિંગે કહ્યું છે કે પંજાબમાં કોંગ્રેસ સરકારના ત્રણ વર્ષ વીતી ગયા છે અને હવે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કરવો જોઇએ. અન્ય ધારાસભ્યોને પ્રધાન બનવાની મંજૂરી આપવી જોઈએ. ગુરુવારે પંજાબ ભવનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાજા વડિંગે કહ્યું કે મુખ્ય પ્રધાનનો અધિકાર છે કે તેઓએ તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવો. નવજ્યોત સિંહ સિદ્ધુની ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્તિ અંગેની ચર્ચા અંગેના પ્રશ્નના જવાબમાં રાજા વડિંગે કહ્યું કે સિદ્ધુને નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકાય છે.