દેશમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ફરી વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ચિંતા મહારાષ્ટ્રએ વધારી છે જ્યાં કોરોના વાયરસની પરિસ્થિતિ બેકાબૂ હોય તેવી પરિસ્થિતિ છે. જોકે હવે વધુ એક રાજ્યએ વધતાં કેસને જોતાં પહેલી માર્ચથી નવી ગાઈડલાઇન લાગુ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં વધતાં કેસને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી ગાઈડલાઇન લાગુ કરાશે
પંજાબમાં હવે ઈન્ડોર જગ્યાઑ પર 100થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે ખુલ્લી જગ્યા પર 200 લોકોને ભેગા થવાની પરવાનગી આપવામાં આવશે. સરકારે બધા જ ડિસ્ટ્રિક્ટ કમિશનરને આદેશ આપ્યા છે કે તે પોતાના જિલ્લાઓમાં હોટસ્પોટ વિસ્તારોને અંક્તિ કરે છે અને જરૂર પડે તો નાઈટ કર્ફ્યૂ પણ લગાવી શકાય છે.
સીએમ અમરિન્દર સિંહે બોલાવી હાઇલેવલ બેઠક
નોંધનીય છે કે પંજાબ સરકાર દ્વારા હાઇલેવલ બેઠક કરવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રીએ કોરોના વાયરસની પરિસ્થિતિ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે કોરોના વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. પંજાબમાં દરરોજ 30 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય તંત્રને સૂચના આપવામાં આવી છે કે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવામાં આવે.
વેક્સિન માટે આપવામાં આવ્યા નિર્દેશ
અમરિન્દર સિંહે કહ્યું કે સ્થાનિક તંત્ર કોરોના વાયરસના કેસ પર નજર રાખે અને સિનેમાઘરોને લઈને પહેલી માર્ચે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રાઇવેટ ઓફિસ અને રેસ્ટોરન્ટના બધા જ કર્મચારીઓએ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો જોઈએ. મુખ્યમંત્રીએ રાજ્યમાં 100 ટકા સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના વાયરસની રસી આપવામાં આવે તે માટે નિર્દેશ આપી દીધા છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને રસી માટે સ્વાસ્થ્ય મંત્રાલયને યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું છે.