પંજાબમાં રાજ્ય સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચે વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. સિદ્ધુ પોતાના વીજળી મંત્રાલયનો હોદ્દો સંભાળવા હજુ સુધી પહોંચ્યા નથી. એના બદલે ક્રિકેટરથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું છે. સિદ્ધુ દિલ્હીમાં પાર્ટીના હાઇકમાનની મુલાકાત કરશે.
જોકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કેરળમાં વાયનાડના પ્રવાસે છે. એવામાં મનાઇ રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે વિવાદ એટલો તો વધી ગયો કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સિદ્ધુનું મંત્રાલય જ બદલી નાખ્યું હતું.
આ પહેલા પણ નવજોત સિંહ સિદ્ધુ 6 જુને યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ સામેલ નહોતા થયા. જે બાદ અમરિન્દર સિંહ રાજ્યપાલ વીવી સિંહ બદનૌરને એક પત્ર લખીને કેટલાક મંત્રીઓના વિભાગોમાં બદલાવની મંજુરીની માંગ કરી હતી. જે મંત્રીઓના મંત્રાલયમાં બદલાવની માંગ કરવામાં આવી હતી તેમા સિદ્ધુ પણ સામેલ હતા.
આપને જણાવીએ કે, સિદ્ધુ પાસેથી શહેરી વિકાસ મંત્રાલય લઇને ઉર્જા મંત્રાલય સોપવામાં આવ્યું છે. આ પહેલા કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસના શહેરી વિસ્તારોમાં ખરાબ પ્રદર્શન માટે સિદ્ધુને જવાબદાર ઠેરાવ્યા હતા.