મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી આકાશી આફત સામે સૌ કોઈ લાચાર રહી ગયા. પૂણે જિલ્લામાં વરસેલા વરસાદે એવો તો કહેર વર્તાવ્યો કે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ તક ન મળી. પૂણેમાં વરસાદના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
પૂણેમાં વરસાદના કારણે 12 લોકોના મોત નિપજ્યા
શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી
ડેમમાંથી 85 હજાર ક્યુસેક પાણી છોડતા બારામતીમાં ભારે પૂર
લોકો જ્યાં હતા ત્યાં જ અટવાઈ ગયા અને હજારો વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા અને કારનો કચ્ચરઘાણ બોલી ગયો. પૂણેના પુરંદર, બારામતી, ભોર અને હવેલીમાં વરસાદની ભારે અસર થઈ છે. જેના કારણે શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. પૂણેના સાસવાડમાં નજારે ડેમમાંથી 85 હજાર ક્યુસેક પાણી છોડતા બારામતીમાં ભારે પૂર આવ્યું હતું. નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. જેના કારણે હજારો ટુવ્હીલર તણાઈ ગયા હતા. મોંઘી દાટ કારનો કચ્ચરઘાણ વળ્યો હતો. ક્યાંક કાર પર કાર ચઢી ગઈ હતી. તો ક્યાંક થાંભલા પર કાર ચઢી ગઈ.
કોઈ કાર નદીમાં વહી ગઈ, તો કોઈ કાર પાર્કિંગમાંથી નદીમાં ખાબકી. પૂરના કારણે પૂણે શહેરની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં કિચ્ચડ જમા થઈ ગયું છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે નાના ગરનાળા તૂટી ગયા છે. કેટલાક માર્ગો તૂટી ગયા છે.
રાત્રી દરમિયાન ત્રાટકેલી આ આફતે લોકોને કંઈપણ વિચારવાની તક ન આપી. ત્યારે હવે NDRFની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો સાથે જ સ્થાનિક તંત્રએ પણ શહેરમાંથી કિચ્ચડ હટાવવા અને સમારકામની કામગીરી હાથ ધરી છે. પૂણેમાં ત્રાટકેલી આ આફતથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
સીએમે દુ:ખ વ્યક્ત કર્યું
ભારે વરસાદ બાદ ગંભીર સ્થિતિ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું કે, ' પૂણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જીવ ગુમાવનાર વિશે જાણીને દુ:ખ થયું. તેમના પરિવારો સાથે મારી ગંભીર સંવેદના છે. અમે સંભવ તમામ સહાયતા કરી રહ્યા છીએ.'
બારામતીમાં એલર્ટ
ઘણી જગ્યા પર ઝાડ અને પોલ પડી જવાથી ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. લેક ટાઉનથી બીબવેવાડીને જોડતો પુલ તુટી ગયો. સ્થિતિ જોતા પૂણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે પૂણે શહેર, પુરંદર, બારામતી, ભોર અને હવેલી તહસીલમાં સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી છે. પૂણેમાં થયેલ ભારે વરસાદની અસર બારામતીમાં પણ જોવા મળી છે.