ભારત પાસેથી વારંવાર લપડાક પડ્યા પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડી નથી રહ્યું. જમ્મુ કશ્મીર ના પૂંછ જીલ્લામાં LOCના કરમારા ગામમાં યુદ્ધ વિરામના ભંગનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન દ્વારા રહેણાક વિસ્તારને નિશાનો બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ લોકો માર્યા ગયા હતાં. જો કે, ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાનની ચોકીઓ ને નુકશાન પહોચાડીને તેમજ તેમના સૈનિકોને ઘાયલ કરીને વળતો જવાબ આપવામાં આવ્યો હતો.
પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાની સૈનિકોએ અચાનક LOC ને અડીને આવેલા કરમારા ગામ પર મોર્ટાર ફાયરીંગ શરૂ કરી દીધું હતું. આ મોર્ટાર ફાયરીંગમાં ૫૮ વર્ષના મોહમ્મદ રફીક મલિક, એમની પત્ની રાફીયા (50) અને છોકરો ઈરફાન(15) મૃત્યુ પામ્યા હતાં,તેમજ એક વ્યક્તિ આ ગોળીબારમાં ઘાયલ પણ થયો હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પૂંછ જીલ્લાના SSP રમેશ અંગરાલે પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયેલા ત્રણેય લોકોની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, શુક્રવાર રાતે લગભગ ૧૦.૨૦ વાગ્યે પાકિસ્તાને પૂંછ જીલ્લાના ગુલાબપુર સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનો પણ આ ગોળીબારનો મુંહતોડ જવાબ આપી રહ્યાં હતા. આ ગોળીબારમાં મોહમ્મદ રફીકના ઘરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા હતાં. સેનાએ જણાવ્યુ કે, વળતા જવાબમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનને નુકશાન પહોચાડ્યું હતું તેમજ તેમની ચાર ચોકીઓને તબાહ કરી દીધી હતી, જયારે એમાં હાજર ઘણાં સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં ત્યારબાદ પાકિસ્તાને ગોળીબાર બંદ કરી દીધો હતો.
આ ગોળીબાર પછી સેનાએ LOCના નજીકમાં રહેણાંક વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધી છે. સેનાનું કહેવું છે કે આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવાના ઈરાદાથી પાકિસ્તાની સૈનિક અવારનવાર આવી હરકત કરતાં રહે છે.
સેનાએ રાજોરી જીલ્લાના નૌશાહરા સેક્ટરમાં LOCની પાસે પાકિસ્તાની ઘુસણખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. હજુ સુધી એની ઓળખાણ જાહેર કરવામાં નથી આવી. પોલીસ એની પુછપરછ કરી રહી છે.