પુલવામામાં ગઇ કાલનાં ગુરૂવારનાં રોજ થયેલાં આતંકી હુમલાને લઇને હાલમાં સમગ્ર દેશમાં લોકોમાં એક આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. ઠેર-ઠેર દેશનાં દરેક રાજ્યોની જનતામાં આ ઘટનાને લઇને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ક્યાંક વિરોધ પ્રદર્શન ચાલી રહેલ છે તો ક્યાંક શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને દેશભરનાં લોકોમાં ઉગ્ર રોષ જોવા મળતા દેશભરનાં લોકોએ મોડી રાત્રે રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં પણ સ્થાનિકોએ રસ્તા પર આવીને વિરોધ કર્યો હતો.
અમદાવાદમાં વિરોધ પ્રદર્શનઃ
પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાને લઇને અમદાવાદનાં મણિનગરમાં મહાદેવ યુવક મંડળ દ્વારા આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અહીં લોકોએ કેન્ડલ અને ફુલહાર વડે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ એવી માંગ પણ કરી હતી કે સરકારે હવે સર્જિકલ સ્ટ્રાઈક નહીં પરંતુ પાકિસ્તાન ઉપર હુમલો કરવાની જરૂર છે.
બીજી બાજુ અમદાવાદનાં થલતેજમાં પણ સ્થાનિકોએ રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ રસ્તા પર આવીને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યાં હતાં. આ સાથે જ હુમલામાં શહીદ જવાનોનો બદલો લેવા સરકાર પાસે અપીલ કરી હતી. કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને અમદાવાદમાં ઠેર-ઠેર આક્રોશ જોવા મળ્યો છે.
થલતેજમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઇને વિરોધ કર્યો છે. તેઓએ પાકિસ્તાનનાં પુતળાનું દહન કર્યુ છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનાં પુતળાનું દહન કર્યું હતું. આ સાથે જ પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યાં હતાં. ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા સરકારને અપીલ કરવામાં આવી છે.
સુરતમાં વિરોધ પ્રદર્શનઃ
સુરતમાં પણ અડાજણ વિસ્તારનાં સરદાર બ્રિજ પાસે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. બ્રિજ પાસે સ્થાનિકોએ ટાયરો સળગાવીને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યાં હતાં અને આતંકી હુમલાની આકરી નિંદા કરી હતી.
મોરબીમાં વિરોધ પ્રદર્શનઃ
મોરબીનાં લોકોમાં પણ આ ઘટનાને લઇને ઉગ્ર આક્રોશ જોવાં મળ્યો. મોરબીનાં ટંકારાનાં ઓટાળા ગામે લોકો જાહેર રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં અને રોડ પર ટાયરો સળગાવીને આ ઘટનાને લઇ વિરોધ પ્રદર્શન કર્યો હતો. લોકોએ પાકિસ્તાન હાય હાયનાં નારા પણ લગાવ્યાં હતાં.
વાપીમાં શહીદોને શ્રદ્ધાંજલિઃ
જમ્મુ-કશ્મીરમાં થયેલા આતંકી હુમલાનાં પડઘા વલસાડમાં પણ પડ્યાં છે. સૈનિકો પર થયેલા આતંકી હુમલાને પગલે લોકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. વાપીમાં આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ગુંજન વિસ્તારમાં લોકોએ કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આતંકવાદને જડબાતોડ જવાબ આપવા સરકાર સમક્ષ લોકોની ઉગ્ર માંગ છે.
વડોદરામાં શહીદોને શ્રદ્ધાંજલિઃ
પુલવામામાં હુમલાને લઈને વડોદરાવાસીઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોલેજનાં ડીન સ્ટાફ અને સિન્ડીકેટે સભ્યોએ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.
ઉપરાંત વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં જાનૈયાઓએ પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. શહીદ જવાનોનાં માનમાં જાન રોકીને મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ હતી. તેમજ જાનમાં દેશભક્તિનાં ગીતો વગાડવાનો પણ નીર્ણય કર્યો. શહીદોનાં માનમાં બેનરો સાથે જાન નીકળશે.
પોરબંદરમાં શહીદોને શ્રદ્ધાંજલિઃ
પોરબંદરમાં પણ શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જિલ્લાનાં આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ. પંચાયતનાં ગ્રાઉન્ડમાં મીણબત્તી પ્રગટાવીને મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.