પુલવામા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે પરંતુ એ હુમલામાં માર્યા ગયેલા શહીદોને હજુ સુધી કોઇ મદદ મળી નથી. કેન્દ્ર સરકારે માત્ર વાયદા કર્યા પરંતુ હજુ સુધી તેને પૂર્ણ નથી કર્યા. તંત્રનું વલણ પણ એટલુ અસંવેદનશીલ છે કે, શહીદોના પરિવારજનો ઓફિસોના ચક્કર લગાવીને થાકી ચૂક્યા છે.
પુલવામા હુમલાના શહીદોનો કેન્દ્ર સરકાર દ્વારા કોઇ મદદ મળી નથી
કેન્દ્ર સરકારે માત્ર વાયદા કર્યા પરંતુ હજુ સુધી તેને પૂર્ણ નથી કર્યા
શહીદનું સન્માન જાળવી રાખવા પરિવાર પોતાની જમીન પર પંચાયતની મદદથી સ્મારક બનાવી રહ્યો છે
આવી જ એક સ્થિતિ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાન કૌશલ કુમાર રાવતની. કૌશલ કુમાર રાવત 14 ફેબ્રુઆરી 2019એ એ બસમાં સવાર હતા જે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલામાં ઉડાવી દીધી હતી.
શહીદોને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ આશ્વાસન પોકળ સાબિત થયા છે. કૌશલ કુમાર રાવત આગરાના રહેવાસી છે. અહીં તેમનુ પૈતૃક ઘર છે. શહીદ કૌશલ રાવતની માતા સુધા રાવત આજે પણ પુત્રની વિશે વાત કરે છે તો આંખોમાં આંસૂ આવી જાય છે. સરકાર, તંત્ર અને સામાજિક સંગઠનોએ વૃદ્ધ માતાના આંસૂ લૂછવા જોઇએ તેની જગ્યાએ વૃદ્ધ માતાને ઓફિસોના ધક્કા ખવડાવી રહ્યા છે.
શહીદ કૌશલ કુમાર રાવતની માતા સુધા કહે છે કે, તેઓને ન તો કેન્દ્ર સરકાર પાસેથી કોઇ મદદ મળી છે, ન સામાજિક સંગઠનોએ તેમની કોઇ મદદ કરી. ન કોઇ જનપ્રતિનિધિ તેમના હાલચાલ પૂછવા આવ્યું.
માતા સુધા કહે છે કે, જ્યારે પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે મોટા-મોટા અધિકારી, નેતા આવ્યા હતા. સૌ કોઇએ મોટા-મોટા વચનો આપ્યા હતા. પરંતુ એક વર્ષ થવા આવ્યું છે, આજ સુધી કોઇ વચન પૂર્ણ નથી થયું.
શહીદ કૌશલ કુમાર રાવતનો પરિવાર હવે ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં રહે છે. શહીદ કૌશલ્યની પત્ની મમતા કહે છે કે સરકારી વ્યવસ્થાઓ અને અધિકારીઓની બેદરકારીને પગલે હવે તેમની સહનશક્તિએ જવાબ આપી દીધો છે.
મમતા અને કૌશલના પુત્ર વિકાસનું માનીએ તો, યોગી સરકારે 25 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી કોઇ મદદ નથી મળી. અમારા પૈસાને અધિકારીઓએ રોકી રાખ્યા છે.
સુઘા રાવત કહે છે કે, તેઓએ ઘણી વાર આગરાના જિલ્લાધિકારીને પણ મદદ કરવા કહ્યું પરંતુ કોઇ વાત ધ્યાને લેવાઇ નહીં. શહીદ કૌશલના પિતરાઇ ભાઇ સત્ય પ્રકાશ રાવત કહે છે કે, જિલ્લા તંત્રે શહીદની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઇ નથી. શહીદનું સન્માન જાળવી રાખવા માટે તેમનો પરિવાર પોતાની જમીન પર ગ્રામ પંચાયતની મદદથી સ્મારક બનાવી રહ્યું છે.
સત્ય પ્રકાશ રાવતે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હજુ સુધી તેને પૂર્ણ નથી કરવામાં આવી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તંત્ર, સામાજિક સંગઠન અને જનપ્રતિનિધિઓ તરફથી પણ કોઇ મદદ નથી મળી. સૌથી મોટી મુસીબત છે કે, ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે.
સત્ય પ્રકાશ રાવતે જણાવ્યું કે, શહીદ કૌશલ કુમાર રાવતના પરિવારજનોએ જણાવ્યું કે, બાળકોની નોકરીથી લઇને સરકારી મદદ સુધી તમામ દોડધામ માત્ર સીઆરપીએફના અધિકારી કરી રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશને પણ માત્ર શહીદના બાળકોના ફોર્મ ભરાવ્યા છે પરંતુ કોઇ હજુ સુધી કોઇ મદદ મળી નથી.