પુલવામા અને અનંતનાગમાં સુરક્ષાદળ પર થયેલા આંતકી હુમલામાં આંતકવાદીઓએ સ્ટીલથી બનેલી ચાઇનીઝ બનાવટની આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિઅરી બુલેટનો ઉપયોગ કરતા દેશની સુરક્ષા એજન્સીઓ તેમજ ભારતીય સેના ચિંતામાં મુકાઇ છે. કેન્દ્ર સરકારે બુલેટપ્રૂફ જેકેટ અને બુલેટપ્રૂફ કારને વધુ મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરી છે.
સુરક્ષા એજન્સીઓ તેમજ ભારતીય સેનાએ જવાનોની સુરક્ષા પૂરી પાડવા માટે અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટ ખરીદવાનો નિર્ણય લીધો છે આ બુલેટપ્રૂફ જેકેટ પર સ્ટીલની બુલેટનું ટેસ્ટિંગ ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની બેલેસ્ટિક રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ રેન્જમાં કરવામાં આવશે. આ માટે રશિયાથી આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિઅરી બુલેટ પણ મંગાવવામાં આવી છે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવી દીધા બાદ આઇ.એસ, જૈશ-એ-મોહમંદ, લશ્કર એ તોઈબા સહિતના આંતકી સંગઠનો દેશમાં સંભવિત આંતકી હુમલા કરે તેવી શક્યતા સેન્ટ્રલ આઇબીએ વ્યકત કરી છે. આંતકવાદીઓએ હવે આંતકી હુમલામાં નવાં નવાં હથિયાર અને બુલેટનો ઉપયોગ કરતા સુરક્ષા એજન્સીઓ તેમજ ભારતીય સેના ચિંતિત છે.
કાશ્મીરમાં સક્રિય ખતરનાક આતંકી સંગઠન જૈશ-એ-મોહમમ્દના આંતકવાદીઓ હવે એકે ૪૭ અને એક ૫૬ સહિતનાં હથિયારોમાં વપરાતી બુલેટની જગ્યાએ સ્ટીલથી બનાવેલી વિદેશી બુલેટ કે જેને આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિઅરી પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. ૧૨ જૂનના રોજ અનંતનાગમાં સુરક્ષાદળો પર થયેલા હુમલામાં પણ આંતકીઓએ તેમની રાઇફલથી ચાઇનીઝ સ્ટીલ બુલેટ છોડી હતી.
જેમાં રાજ્યના એક પોલીસ ઇન્સ્પેક્ટર અરશદખાન અને સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા હતા. અનંતનાગ હુમલામાં માર્યા ગયેલા એક આંતકવાદી પાસેથી સ્ટીલની ચાઇનીઝ બુલેટનો જથ્થો મળી આવ્યો હતો.
આ સિવાય ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પુલવામામાંમાં જિલ્લા પોલીસ લાઇન તેમજ લિતપોરામાં સીઆરપીએફ કેમ્પ પર જૈશના આંતકવાદીઓએ કરેલા હુમલામાં પણ દરમિયાન સૌપ્રથમ વખત સ્ટીલની બુલેટનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ શોપિયામાં ડિસેમ્બર ૨૦૧૮માં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન આંતકીઓ આ બુલેટનો ઉપયોગ કર્યો હતો જેમાં જૈશના કમાન્ડર નૂર મોહમ્મદ તાંત્રે ઉર્ફે પીર બાબા ઠાર મરાયો હતો.
પુલવામામાં જ્યારે આંતકીઓએ પહેલી વખત સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો ત્યારે સીઆરપીએફના એક અધિકારીની બુલેટપ્રૂફ જિપ્સીને વિંધીને અંદર બેઠેલા જવાનને લાગી હતી અને તે શહીદ થયો હતો. આંતકીઓએ સ્ટીલની બુલેટનો ઉપયોગ કરતા સુરક્ષા એજન્સીઓના હોશ ઊડી ગયા છે કારણકે આ બુલટે વિદેશમાં બને છે અને દેશની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ કે ભારતીય સેના પાસે નથી.
આ બુલેટની તાકાત એટલી બધી વધારે છેકે કોઇપણ બુલેટપ્રૂફ જેકેટ અથવા કારને તે એક જ રાઉન્ડમાં વીંધી શકે છે. આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિઅરી બુલેટથી કોઇ જવાન શહીદ થાય નહીં અને વીઆઇપીના કાફલા ઉપર પણ હુમલો થાય નહીં તે માટે કેન્દ્ર સરકારે બુલેટપ્રૂફ પ્લાન બનાવ્યો છે અને તમામ સુરક્ષા એજન્સીઓ તેમજ ભારતીય સેનાને અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટ આપવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.
આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિઅરી બુલેટ પણ બુલેટપ્રૂફ જેકેટને વિંધે નહી તેવા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેનું ટેસ્ટિંગ ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં આવેલ બેલેસ્ટિક રીસર્ચ એન્ડ ટેસ્ટિંગ રેન્જ દ્વારા કરવામાં આવશે.
બેલેસ્ટિક રીસર્ચ એન્ડ ટેસ્ટિંગ રેન્જમાં બુલેટપ્રૂફ જેકેટ કે કારની સમીક્ષા કેટલી છે તેનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ આપવામાં આવે છે. ભારતમાં બુલેટપ્રૂફ સાધનોની ચકાસણી કરવાની એકમાત્ર ટેસ્ટિંગ રેન્જ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાથી આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિઅરી બુલેટ મંગાવી છે, જે થોડાક દિવસોમાં આવી જશે.