જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને મોટી જાણકારી સામે આવી છે. 14 ફેબ્રુઆરીએ CRPF પર થયેલો આતંકી હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા હતી. આ વાત CRPFના આંતરિક રિપોર્ટમાં જણાવવામાં આવી છે.
14 ફેબ્રુઆરીના રોજ થયો હતો હુમલો, 40 જવાન થયા હતા શહિદ
આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રિપોર્ટ કરતાં તદ્દન અલગ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ પુલવામાં આતંકી હુમલો ઇન્ટેલિજન્સની નિષ્ફળતા નહોતી.
તપાસ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે IED હુમલાને લઇને સામાન્ય ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કાર દ્વારા આત્મઘાતી હુમલાને લઇને કોઇ વિશેષ ખતરો જણાવ્યો નહોતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘાટીની કોઇ પણ ગુપ્તચર એજન્સી દ્વારા આવા હુમલાને લઇને કોઇ ઇનપુટ આપવામાં આવ્યા નહોતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો કે આ હુમલો ગુપ્તચર એજન્સીની વિફળતા હતી.
ગૃહ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે જમ્મૂ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ દાયકાથી સરહદ પારથી સમર્થિત આતંકવાદથી પ્રભાવિત છે. ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ જૂન મહિનામાં નિવેદન આપ્યું હતું.
આતંકવાદ વિરુધ્ધ જીરો ટોલરન્સની નીતિ અને સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુધ્ધ સતત કાર્યવાહી ના કારણે ગત વર્ષોમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. જેના કારણે આતંકવાદનો પ્રભાવ આ વિસ્તારમાં ઓછો થયો છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક એજન્સીઓ હાલ એકીકૃત થઇને કામ કરી રહી છે અને ગુપ્ત જાણકારી અલગ-અલગ એજન્સીઓ વચ્ચે મોકલવામાં આવે છે.
CRPFની આંતરિક રિપોર્ટમાં કાફલાની અસામાન્ય લંબાઇ સહિત અનેક ખામીઓ બતાવવામાં આવી છે. 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલામાં 78 વાહન સામેલ હતા અને 2547 જવાનો સાથે જમ્મૂથી શ્રીનગર માટે રવના થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસારા કાફલાની દૂરથી જ ઓળખ આસાનીથી થઇ હતી અને સૂચના પણ આસાનીથી લીક થઇ ગઇ. આંતરિક રિપોર્ટમાં જણવવામાં આવ્યું છે કે કાફિલા સાથે આવન-જાવન દરમિયાન નાગરિકોના વાહનને જવાની અનુમતિ સીઆરપીએફ માટે જોખમરૂપ સાબિત થઇ.
જો કે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અસામાન્ય રીતે લાંબો કાફલો પણ મુખ્ય કારણ હતું. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ભારે હિમવર્ષાના પગલે 4 ફેબ્રુઆરી બાદ કોઇપણ વાહન જમ્મૂ-શ્રીનગર હાઇવે પર ચાલતું નહોતું.