કોરોના સંકટમાં ગુજરાત સરકારે ગર્વભેર જાહેર કરેલા ધમણ-1 વેન્ટિલેટરને લઈને છેલ્લા થોડા દિવસોથી વિવાદ વકર્યો છે. આવામાં આ વિવાદમાં વધુ એક મોટાં સમાચાર આવ્યાં છે જેમાં ધમણ-1નો ઓર્ડર પુડ્ડુચેરીએ કેન્સલ કર્યો છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે અન્ય રાજ્યોને પણ આ વેન્ટિલેટર આપવાનું કહ્યું હતું પરંતુ હવે આ મામલે રૂપાણી સરકારને પ્રથમ ઝટકો મળ્યો છે.
સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 વિવાદ મામલો
પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો
સરકારના કારણે કોરોનામાં મૃત્યુ દર વધ્યો: કોંગ્રેસ
છેલ્લાં 3-4 દિવસથી ગુજરાતમાં કોરોના સંકટની વચ્ચે ધમણના વિવાદે રાજ્યના રાજકારણમાં ધમાલ મચાવી છે. આ વેન્ટિલેટરને લઈને એક તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે ધમણ-1ના કારણે કોરોનામાં મૃત્યુ દર વધ્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહી છે. એવામાં પુડ્ડુચેરીથી ઓર્ડર કેન્સલ કરવાના સમાચારથી રૂપાણી સરકારને ઝટકો મળ્યો છે.
ધમણ-1 વેન્ટિલેટરનો વિવાદ વકરતા પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે.
Lot of controversy has arisen about the functioning of #Dhaman1 . By-pat mechine from #Gujarat Rajkot.
I discussed with Hon’ble Health Minister, Govt of #Puducherry . We will cancel the order Letter has been sent to them to that effect.
સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તા પર પ્રશ્ન ત્યારે ઉઠ્યાં જ્યારે સિવિલના સુપ્રિટેન્ડન્ટે જ ગુણવત્તાને લઈને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વેન્ટિલેટર ધાર્યુ પરિણામ ન આપતું હોવાનો ઉલ્લેખ કરતા વિપક્ષે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. કોંગ્રેસે ધમણ-1ની ગુણવત્તા અને તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને યોગ્ય ન ગણાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
સરકારે આપી હતી આજે સ્પષ્ટતા
ગુજરાત સરકાર તરફથી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, વેન્ટિલેટર હોય તેને ઉપયોગમાં લેવા માટે DCGI લાયસન્યની આવશ્યકતા નથી. ડો. વીજી સોમાણીએ કહ્યુ છે કે, 2017ના કાયદા મુજબ રાજ્ય કે કેન્દ્ર સરકારના લાયસન્સની આવશ્યકતા નથી. 37 વસ્તુઓની યાદી જાહેર કરી હતી જેમાં વેન્ટિલેટરનો સમાવેશ નથી. એટલે ધમણને કોઈ લાયસન્સની જરૂર જ નથી. જો કે સ્વેચ્છાએ કોઈ રજિસ્ટર કરવા માંગે તો તે રજિસ્ટર કરી શકે છે. જે 2021 સુધી તે નોંધાવી શકે છે. ISO અને IEC મુજબ 60601 મુજબ આ વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે.
કોંગ્રેસે ઉઠાવ્યાં છે ધમણ-1 પર ગંભીર સવાલો
અમિત ચાવડાએ જણાવ્યું કે જે વેન્ટિલેટર ધમણને સિવિલના હેડ ડૉક્ટર કોરોનાની સારવારમાં યોગ્ય નથી ગણતાં એની ક્વોલિટી સારી નથી અને તેનો અખતરો કેમ ગુજરાતી પ્રજા પર કરાયો.સિવિલ હોસ્પિટલમાં થયેલાં છેલ્લા મોટા ભાગના મૃત્યુ આ ધમણના કારણે થયા છે. આ ઉપરાંત ચાવડાએ રૂપાણી સરકારને પ્રશ્ન પુછતાં કહ્યું કે સરકારે 4 એપ્રિલ ધમણને ગુજરાતમાં લોન્ચ કર્યું અને તેના ક્વોલિટી સર્ટિફિકેટની પ્રોસેસ 10 દિવસ બાદ 14 એપ્રિલ કરી. અઘુરામાં પુરુ ધમણનો વિવાદ સર્જાતા રાતોરાત સર્ટિફિકેટની પ્રોસેસ એક દિવસમાં પુરી કરી દેવાઈ.
સરકારનું સૌથી મોટું બેજવાબદાર નિવેદન
કોંગ્રેસ અગ્રણી ડૉ. જીતુ પટેલે આ મુદ્દે ધમણ 1ને ફેક વેન્ટિલેટર ગણાવીને કહ્યું હતું કે સરકારના નિવેદન પ્રમાણે જેમ સીરિન્જ, નીડલમાં ટેસ્ટની જરૂર નથી તેમ ધમણ વેન્ટિલેટરને પણ ટેસ્ટિંગ કે ટ્રાયલની જરૂર નથી. આ નિવેદન સૌથી મોટું બેજવાબદાર નિવેદન કહી શકાય. તેમણે કહ્યું હતું કે વેન્ટિલેટરથી દર્દીઓને ઓક્સિજન આપીને બચાવી શકાતું હોય છે ત્યારે તે સૌથી મહત્વનું મેડિકલ સાધન છે ત્યારે તેની સાથે કોઈ પણ ચેડાં કે અખતરો ચલાવી ન શકાય.