આગામી બે ત્રણ મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે ચૂંટણી પહેલા જ પૂડુચેરીમાં કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે.
સરકાર પર ઊભું થયું સંકટ
બહુમત ન હોવાનો વિપક્ષનો આરોપ
આજે રાહુલ ગાંધી રાજ્યનો પ્રવાસ કરશે
શું છે સમગ્ર મામલો?
પૂડુચેરીમાં કોંગ્રેસની સરકારમાં બે રાજીનામાં બાદ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે જ્યાં બીજી તરફ રાજ્યના સીએમ વી. નારાયણસ્વામી દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર અલ્પમતમાં નથી. નારાયણસ્વામીએ કહ્યું કે હજુ બે રાજીનામાં સ્વીકાર જ નથી થયા અને અને તેના પર અધ્યક્ષ વિચાર કરી રહ્યા છે. નારાયણસ્વામીએ ભારતીય જનતા પાર્ટી પર ઓપરેશન લોટસનો આરોપ લગાવ્યો છે.
શું છે વિધાનસભાનું ગણિત?
નોંધનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય જૉન કુમારે મંગળવારે રાજીનામું આપ્યું હતું અને એક જ મહિનામાં આ ચોથા ધારાસભ્ય છે જેમણે રાજીનામું આપ્યું હોય. હવે સરકારમાં કોંગ્રેસ અને ગઠબંધન પાર્ટીઓના ગણીને 14 ધારાસભ્ય સરકાર પાસે બચ્યા છે.
સરકાર પર સંકટના વાદળ
જૉન કુમારના રાજીનામાં બાદ વિધાનસભામાં અધ્યક્ષ સહિત કોંગ્રેસના સદસ્યોની સંખ્યા દસ પર રહી ગઈ છે અને આ સિવાય ચાર ધારાસભ્યોનું સમર્થન સરકાર પાસે છે. પરંતુ સરકાર માટે 15નું બહુમત જરૂરી છે.
રાહુલ ગાંધી આવે તે પહેલા જ સરકાર અને પાર્ટીને ઝટકો
નોંધનીય છે કે આ રાજ્યમાં આગામી બે મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે અને ચૂંટણી માથે ઊભી છે ત્યાં જ સરકાર પર મોટો ખતરો આવ્યો છે. નોંધનીય છે કે ખેડૂતોના આંદોલન મુદ્દે રાહુલ ગાંધી પણ આજે આ રાજ્યમાં પહોંચી રહ્યા છે ત્યારે તેઓ પહોંચે તે પહેલા જ સરકાર સંકટમાં આવી ગઈ છે અને પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો છે.
કિરણ બેદીને પદથી હટાવી દેવામાં આવ્યા
બીજી તરફ પૂડુચેરીમાં ગઇકાલે જ અચાનક રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને રાષ્ટ્રપતિએ પદ પરથી હટાવી દીધા છે. રાષ્ટ્રપતિએ હવે તેલંગાણાના રાજ્યપાલને આ રાજ્યની વધારાની જવાબદારી સોંપી છે.