સ્વચ્છ ભારત અભિયાન અતર્ગત ખુલ્લામાં શૌચ બદીને દેશવટો આપી દીધો હોવનો સરકાર દાવો કરે છે તો બીજી બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રીવરફ્રન્ટના ગુજરી બજારમાં બનાવેલા જાહેર શૌચાલય ખંડેર અને તાળાબંધ હાલતમાં જોવા મળ્યા છે. બહારથી અત્યત આધુનિક લાગતા ટોઇલેટની અંદરથી ખરેખર અત્યત દયનીય હાલત છે અને એક દારુ પીવાનો અડ્ડો બની ગયો છે જે જોઇને તંત્રના પેટનુ પાણી નથી હલતુ.
ગુજરી બજારમાં બનેલ પબ્લિક ટોઇલેટની હાલત કફોડી
21 કરોડના ખર્ચે બનેલા 4 ટોઇલેટમાંથી 3 બંધ હાલતમાં
તોફાની તત્વોએ તોડી નાખ્યા છે ટોઇલેટના દરવાજા
શહેરના એલિસબ્રિજ છેડેના રિવરફ્ર્ન્ટ પર 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરી બજારમાં પબ્લિક ટોઇલેટ આજે બંધ હાલતમાં છે અને તૂટી ગયાં છે. વર્ષ ર૦૧૪માં ગુજરી બજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યું હતું.
21 કરોડના ખર્ચે બનેલા 4 ટોઇલેટમાંથી 3 બંધ હાલતમાં
ગુજરી બજારમાં આવતા લોકો માટે કોર્પોરેશને ચાર પબ્લિક ટોઇલેટ બનાવેલાં હતાં, જેમાંથી ત્રણ ટોઇલેટ બંધ હાલતમાં છે અને તૂટી ગયાં છે. આજે ત્રણેય ટોઇલેટનો ઉપયોગ માત્ર દારુની મહેફીલ માળવા માટે થઇ રહ્યો છે. લાખો રૂપિયાની ખર્ચે બનેલા આ ટોઇલેટની સ્થિતિ ડંપિંગ સાઇટ જેવી થઇ ગઇ છે.
શહેરની ઓળખ બની છે ગુજરી બજાર
નદી કિનારે હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા રિવરફ્રન્ટની આજે દેશ- વિદેશમાં ચર્ચા થાય છે રિવરફ્રન્ટ પર હજારો લોકો રોજ હરવા-ફરવા માટે આવે છે. રિવરફ્રન્ટમાં લોકો બોટિંગની મજા લે છે ત્યારે ફ્લાવર્સપાર્કમાં પણ જાય છે. જ્યારે કોઇને જૂની અથવા સસ્તી વસ્તુઓની ખરીદી કરવી હોય તો તે રિવરફ્રન્ટ પર બનેલા ગુજરી બજારમાં દર રવિવારે જાય છે. 90 ના દાયકાથી એલિસિબ્રજના છેડે ગુજરી બજાર ભરાય છે, જે શહેરની એક ઓળખ બની ગઇ છે.
અમદાવાદ મનપાના પબ્લિક ટોઇલેટની જાળવણીનો અભાવ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરી બજારને નવુ રંગરુપ આપીને આધુનિક બનાવી દીધુ છે જોકે તેની જાળવળી યોગ્ય રીતે થતી નથી. કોર્પોરેશને ચાર આધુનિક પબ્લિક ટોઇલેટ બનાવ્યાં છે જેમાં વિકલાંગો માટે અલગ સુવિધા કરવામાં આવી છે જ્યારે તેની બહાર પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવી છે.
ચાર વર્ષ પહેલાં બનેલાં આ ટોઇલેટની હાલત ખંડેર
ચાર વર્ષ પહેલાં બનેલાં આ ટોઇલેટની હાલત અત્યારે ખંડેર જેવી છે. બહારથી આધુનિક દેખાતાં ટોઇલેટની હકીકત અંદરથી કંઇક અલગ જ છે. ચાર ટોઇલેટ પૈકી ત્રણ ટોઇલેટ તૂટેલી હાલતમાં છે.
તોફાની તત્વોએ તોડી નાખ્યા દરવાજા
તમામ ટોઇલેટની બહાર પીવાના પાણીની સુવિધા કરવામા આવી છે, પરંતુ હજુ તેમાં 12 નળ લગાવવામાં આવ્યા જ નથી તો બીજી તરફ ત્રણ ટોઇલેટનાં કમોડ, વોશ બેસીન-દરવાજા તૂટી ગયા છે. આ દરવાજા તુટી ગયા છે કે પછી તોફાની તત્વોએ તોડી નાખ્યા છે.
ટોઇલેટમાં દારુની કેટલીક બોટલ અને બીયરનું ટીન મળી આવ્યા
રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ તમામ ટોઇલેટને તાળું મારીને રાખે છે. જેના કારણે કોઇ અસામાજિક તત્ત્વો અંદર ઘૂસી ના જાય. આ પબ્લિક ટોઇલેટનો ઉપયોગ દારુડીયાઓ કરી રહ્યા છે. તુટેલા ટોઇલેટમાં દારુની કેટલીક બોટલ અને બીયરનું ટીન તેમજ દેશી દારુની પોટલી મળી આવી છે આ અંગે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના જનરલ મેનેજર દીપક પટેલને પૂછતાં તેઓએ ઈજનેર વિભાગને તેની જાણ કરીને તેના રિપેરિંગની તાકીદ કરવાની બાહેધરી આપી છે.