દેશની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની પરિસ્થિતી સારી ચાલી રહી નથી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કેશ રિઝર્વના સંકટથી પસાર થઇ રહી છે.
દેશની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની પરિસ્થિતી સારી ચાલી રહી નથી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કેશ રિઝર્વના સંકટથી પસાર થઇ રહી છે. સપ્ટેમ્બર 2018માં કંપની પાસે કુલ 167 કરોડ રૂપિયા જેટલા જ કેશ રિઝર્વ હતા. જ્યારે માર્ચ 2018માં આ રકમ 1013 કરોડ હતી.
એક વર્ષ પહેલા માર્ચ 2017માં ઓએનજીસીની કેશ રિઝર્વ 9511 કરોડ હતી. એટલે કે માત્ર દોઢ વર્ષમાં ઓએનજીસીના કેશ રિઝર્વમાં 9344 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કંપની પોતાના ફંડનો ઉપયોગ હાલના દિવસોમાં ઋણ (દેવા)ના ચૂકવણી માટે કરી રહી છે. માર્ચ 2018 સુધીમાં આ દેવું 25592 કરોડ હતું જે સપ્ટેમ્બર 2018માં ઘટીને 13994 કરોડ રૂપિયા રહી ગયું હતું.
મોદી સરકારની વિનિવેશ નીતિને કારણે પણ ઓએનજીસીની કેશ રિઝર્વ પ્રભાવિત થઇ છે. સાર્વજનિક ક્ષેત્રની મોટી કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં લાભાંશ લેવા, શેરની બાય બેક પોલિસી અને અન્ય રાજકીય સ્વામિત્વ વાળી કંપનીઓની ફેર ખરીદીની કેન્દ્ર સરકારની નીતિને કારણે ઓએનજીસીની આર્થિક સ્થિતીને ગંભિર અસર પડી છે.
સરકારની નીતિઓને કારણે ગત વર્ષે ઓએનજીસીને 36915 કરોડમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)નું અધિગ્રહણ કરવું પડ્યું છે. તેના માટે ઓએનજીસીને કેશ ભંડારના માધ્યમથી આ સોદો કરવો પડ્યો હતો. ઉપરાંત કંપનીને 20000 કરોડ રૂપિયાથી વધારે ઉધાર લેવા પડ્યા હતા. કંપનીને ગત વર્ષે મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ લિમિટેડ (MRPL)નું પણ અધિગ્રહણ કર્યું. જોકે, કેશને લઇને તેમાં શંકા દર્શાવવામાં આવી રહી છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે તેલ અને પ્રાકૃતિક ગેસ ખનનનો વ્યવસાય જોખમ ભર્યો હોય છે. તેથી આ ક્ષેત્રમાં પર્યાપ્ત માત્રામાં કેશ બેલેન્સની જરૂર પડતી હોય છે. ઓએનજીસીના એક પૂર્વ અધિકારી મુજબ કંપની પાસે સામાન્યપણે 5000 કરોડ રૂપિયાનું કેશ રિઝર્વ હોવું જોઇએ. કંપનીના કેશ ભંડાર ખાલી હોવાથી લાભાંશ છે.
કંપનીએ 2017-18માં કુલ 8470 કરોડનો લાભાંશની ચૂકવણી કરી હતી. જે 2016-17માં 7764 કરોડ રૂપિયા હતી. એટલે કે તેમાં પણ ઓએનજીસી પર 706 કરોડ રૂપિયાનો ભાર પડ્યો. ઉપરાંત કંપનીએ ગત ડિસેમ્બર માસમાં 4022 કરોડ રૂપિયાના શેરને બાયબેક કરવાની પણ જાહેરાત કરી હતી.
ઓએનજીસીના પૂર્વ ડિરેક્ટર (નાણાં) આલોક કુમાર બેનર્જીએ 'ધ પ્રિન્ટ' સાથેની વાતચીતમાં કહ્યું કે 63 વર્ષના ઓએનજીસીના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કંપનીની કેશ રિઝર્વ આટલા સ્તરે પહોંચી હોય. એમણે તેને અલાર્મિંગ સિચ્યૂએશન કહી. બેનર્જી અનુસાર ઓએનજીસી કંપનીની આ સ્થિતી ખાસ કરીને HPCL અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના અધિગ્રહણને કારણે બની છે.