ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન જાહેરસભા યોજાઇ હતી. જેમાં ચૂંટણી ટાણે પણ ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય લલિત વસોયાનો ફરી ભાજપ તરફ ઝુકાવ જોવા મળ્યો
કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન જાહેરસભામાં આપ્યું નિવેદન
વસોયાએ કહ્યું AAPને મત આપવા કરતા ભાજપને મત આપવો સારો
ધારાસભ્ય લલિત વસોયા કોઇને કોઇ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. જે વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. જેમાં લલિત વસોયાની જીપ લપસી હોય કે, ભાજપ પ્રત્યેનો જુકાવ હોય એ તો ધારાસભ્ય લલિત વસોયા જ જાણે! પણ આ વખતે તેમણે ઉત્સાહમાં આવીને ખુલ્લેઆમ તેમણે કહ્યું કે aapને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપજો. તેમના આ નિવેદન બાદ સભામાં સોંપો પડી ગયો હતો અને નેતાજી આ શું બોલી ગયા તેવો ગણગણાટ શરૂ થયો હતો.
કોંગ્રેસની પરિવર્તન યાત્રાની જાહેરસભામા આપ્યુ નિવેદન
ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા ચાલી રહી છે. જે યાત્રા ધોરાજી પહોંચતા જાહેરસભા યોજાઇ હતી. જેમાં નિવેદન આપતી વેળાએ લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો જુકાવ જોવા મળ્યો હતો. ધોરાજીમાં જાહેરમંચ પરથી વસોયાનું સૂચક નિવેદન આપ્યું હતું જેમાં AAPને મત આપવા કરતા ભાજપને મત આપવાની વાતને સમર્થન આપતા સવાલો ઊભા થયા છે. બીજી બાજુ ધારાસભ્ય લલિત વસોયાએ આ મામલે જણાવ્યું હતું કે આ કોઈ મારો ભાજપ તરફી ઝુકાવ નથી પણ aap ભાજપની B ટીમ તરીકે કામ કરી રહી છે. જેથી આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જોડાવાને લઇને અનેક વખત ચર્ચામાં આવ્યા હતા.