PSI, LRD અને વિદ્યાસહાયક ભરતી અંગેના પ્રશ્નોને લઈને બિન અનામત વર્ગ સમિતિએ સરકાર સામે બાયો ચડાવી છે એન 1 જૂન સુધીનુ અલ્ટિમેટમ આપ્યું છે.
બિન અનામત વર્ગના આગેવાનોએ સરકારને કરી રજૂઆત
PSI ભરતી, LRD મહિલા ભરતી અને વિદ્યાસહાયક ભરતી અંગે કરી રજૂઆત
સરકારને 1 જૂન સુધીનુ અલ્ટિમેટમ અપાયું
PSI, LRD અને વિદ્યાસહાયક ભરતી અંગેના પ્રશ્નોને લઈને બિન અનામત વર્ગ સમિતિના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે સરકારને રજૂઆત કરવામાં આવી છે.જેમાં વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ 19 હજાર કરવા સહિતની માંગ ઊઠાવાઇ છે. રજુઆતમાં જણાવ્યા અનુસાર પરીક્ષા નજીક હોવા છતાં સબંધિત વિભાગ દ્વારા આ દિશામાં કોઇ નિર્ણય કરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે અને આ તમામ મુદ્દે બિન અનામત વર્ગ સમિતિ લડી લેવાના મૂડમાં હોય તેમ સરકારને 1 જૂન સુધીનુ અલ્ટિમેટમ અપવામાં આવ્યું છે.
વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ 19 હજાર કરવાની રજૂઆત
બિન અનામત વર્ગ સમિતિ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતમાં PSI ભરતી અને 113 LRD મહિલા ભરતી તથા LRD ભરતીમાં 20 ટકા વેઇટિંગના ઓર્ડર કાઢવા સહિતની માંગ કરવામાં આવી છે. ત્યારબાદ PSI ની ભરતીમાં સ્પષ્ટ માંગ કરતા દિનેશ બાંભણીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેટલી જગ્યાઓ પર સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તે જગ્યાઓ પર જનરલ કેટેગરીના ઉમેદવારોની જગ્યા પૂરતી કરવામાં આવે. આ જગ્યા પૂરતી કરવામાં આવ્યે અન્ય સમાજના કે કેટેગરીના ઉમેદવારોણે નુકસાન થશે નહી. આ ઉપરાંત વિદ્યાસહાયકની ભરતીનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ કે વિદ્યાસહાયકની મોટા પાયે ખાલી જગ્યા સામે મામૂલી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે આથી ખાલી જગ્યા અને ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઇ વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ 19 હજાર કરવી જરૂરી બની છે. આ જગ્યા વધારવા અંગે ઉમેદવરો દ્વારા અગાઉ પણ માંગ ઉઠાવવામાં આવી હતી. હવે પરીક્ષાની તારીખ નજીક આવી રહી છતાં કોઈ નિર્ણય લેવાતો નથી.
સરકારને 1 જૂનનુ આપ્યુ અલ્ટિમેટમ
બીજી તરફ તમામ ભરતીમાં બિન અનામત વર્ગને અન્યાય થયો હોવાનો પણ રજૂઆતમાં સૂર ઉઠ્યો છે. બિન અનામત વર્ગના ઉમેદવારો છેલ્લા 8 વર્ષથી અન્યાય ભોગવી રહ્યા હોવાનું આગેવાનોએ જણાવ્યુ હતું. વધુ સરકારને બદનામ કરવા સબંધિત વિભાગના અમુક અધિકારીઓ પર કાયદાનુ ખોટુ અર્થઘટન કરી રહ્યા હોવાના અને વિદ્યાર્થીઓને ખોટા ધક્કા ખવડાવતા હોવાના પણ આરોપ લગાવામાં આવ્યા છે. આ તમામ મામલે બિન અનામત સમિતિએ આંદોલનનું પણ રણશિંગું ફુંકયું છે જો આ અંગે ઘટતું કરવામાં નહી આવે તો 1 જૂનથી બિન અનામત સમિતિ આંદોલન કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે અને 1 જૂન બાદ કાર્યક્રમ જાહેર કરવા અંગે પણ બિન અનામત વર્ગ સમિતિના આગેવાનોએ જણાવ્યુ છે.
હાઈકોર્ટે 1 જૂન સુધી સરકારને સમય આપ્યો છે
પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો ઉઠે છે. ક્યાંક જૂના પરિપત્રો રદ કરવાની માગ થાય છે તો ક્યાંક GPSC પેટર્ન પ્રમાણે લેવાતી પરીક્ષાને લઈને રજૂઆતો કરવામાં આવે છે. હાઈકોર્ટ સમક્ષ PSIની સીધી ભરતી પ્રક્રિયાને લઈને રજૂઆત થઈ અને GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા અરજદારોએ માગ કરી છે. બીજી તરફ અરજદારોની માગને પગલે હાઈકોર્ટે હૈયાધારણા આપી અને કહ્યુ કે પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરો. કોર્ટ સમક્ષ આવ્યા છો તો ન્યાય થશે. સમગ્ર મામલે હાઈકોર્ટે 1 જૂન સુધી સરકારને સમય આપ્યો છે અને જવાબ રજૂ કરવા ફરમાન કર્યુ છે. હવે સવાલ એ છે કે સરકારી નોકરીમાં અનામત મુદ્દે ગૂંચવણો કેમ ઉભી થાય છે? કેમ બિન અનામત વર્ગની ભરતીમાં વિસંગતતા આવે છે ? કેમ કુલ જગ્યાની સામે 4 ગણી યાદી બહાર પડાતી નથી?