જલોત્રા અને મુક્તેશ્વર તળાવ માટે રૂ.550 કરોડની જોગવાઈ કેબિનેટ બેઠકમાં પાસ, ગાંધીનગર સ્થિત ડિજિટલ એક્ઝીબિશન 11 જુલાઈ સુધી લંબાવાશે
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
પાણી અંગે લેવાયો નિર્ણય
જલોત્રા તળાવ માટે રૂ. 550 કરોડની જોગવાઇ
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતું કે કરમાવદ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની માંગ મામલે ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જલોત્રા અને મુક્તેશ્વર તળાવમાં માટે રૂ.550 કરોડની જોગવાઈ કરવામા આવી છે. આ યોજના થકી 200 ક્યુસેક પાણી મુક્તેશ્વર તળાવમાં ઠાલવવામાં આવશે જેથી બનાસકાઠાના 3 જિલ્લાના 9 તાલુકાના નાગરિકોને લાભ થશે.
બનાસકાંઠાના ખેડૂતો માટે રાહતનું 'પાણી'..
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં હતાં. આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે તળાવ ભરવા માટે ખાસ યોજના થકી 500 કરોડથી વધુની જોગવાઈ કેબિનેટ બેઠકમાં મંજૂર કરી દેવામાં આવી છે.
30,000 થી વધુ ખેડૂત પરિવારોની 1.5 લાખ હેક્ટર જમીનને થશે લાભ
આ પહેલા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુદ ટ્વીટ કરી જણાવ્યું હતું કે કસરા-દાંતીવાડા પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 73 ગામોના 156 તળાવો તથા પાટણ જિલ્લાના 33 ગામોના 96 તળાવો નર્મદાજળથી ભરાશે. જે થકી 30,000 થી વધુ ખેડૂત પરિવારોની 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે તથા પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન દ્વારા નર્મદાનું 100 ક્યુસેક પાણી વહન કરી મુક્તેશ્વર ડેમમાં લવાશે. જે થકી બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની 20,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને વડગામ તાલુકાના 24 ગામોનાં 33 તળાવો તેમજ પાટણ-સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના 9 તળાવો ભરાશે.
ડિજિટલ વિક એક્ઝિબિશન 11 જુલાઈ ચાલશે: વાઘાણી
તો બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી જણાવ્યું હતું કે ગઈકાલે ડિજિટલ વિકની શરૂઆત PM મોદીના હસ્તે થઈ, પહેલા એક્ઝિબિશન 9 જુલાઇ સુધી ચાલવાનું હતું પણ હવે વધુ 2 દિવસ લંબાવી ડિજિટલ એક્ઝીબિશન 11 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આ પ્રદર્શનમાં મુખ્યત્વે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, આધાર, સી-ડેક, આયુષમાન ભારત ડિજિટલ મિશન, ડિજિટલ પેમેન્ટ પેવેલિયન, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, સેફ એન્ડ ટ્રસ્ટેડ ઇન્ટરનેટ, ઇ-સંજીવની, ડિજિટલ ભાષિની, નેશનલ ઇ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક, આઈ-ક્રિએટ, આઈટી આધારિત ફિનટેક કંપનીઓ તેમજ બિહાર અને ઉત્તરાખંડના આઈટી વિભાગો વગેરે જેવી મહત્વની સંસ્થાઓ ભાગ લઈ રહી છે. પ્રદર્શન સવારે ૯-૩૦ થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લુ રહેશે.
ઈઝ ઓફ ડૂઈંગ રેંકિંગમાં પણ ગુજરાત 10માં ક્રમેથી બીજા ક્રમે આવ્યું: વાઘાણી
સ્ટાર્ટઅપ મામલે ગુજરાતે ફરી બાજી મારી હોવાનું હામ ભરતા વાઘાણીએ કહ્યું હતું કે ઈઝ ઓફ ડૂઈંગ રેંકિંગમાં પણ ગુજરાત 10માં ક્રમેથી બીજા ક્રમે આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ જાહેર કર્યાં હતા જેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં ગુજરાતને સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યો બન્યાં છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આજથી પ્રારંભ
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢવાની શરૂઆત થઈ રહી છે. સાંજે 4 વાગ્યે રિવરફ્રંટથી CM વિકાસ યાત્રા શરૂ કરાવશે જે થકી 25 જેટલા રથો LED સ્ક્રિન સાથે જાહેર સ્થળો એ ફરશે. આ યાત્રા દ્વારા ભાજપ સરકાર 20 વર્ષમાં કરેલા કર્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થશે. જેમાં 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી છે. 5 જુલાઈથી 18 જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ નાગરિકો સુધી પહોંચશે.