એલોપેથી અને ડોક્ટરો સામે કરેલા વિવાદિત નિવેદન બાદ આજે દેશ અને રાજ્યમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન બાબા રામદેવની ધરપકડની માંગ ઉઠી
PPE કીટ પર રામદેવની ધરપકડનું લખાણ
બાબા રામદેવની ધરપકડ કરવાની માંગ
ડોક્ટરો આજે કાળાદિવસ તરીકે મનાવશે
એલોપેથી અને ડોક્ટરો સામે કરેલા વિવાદિત નિવેદન બાદ આજે દેશ અને રાજ્યમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, અને બાબાની ધરપકડની માંગ ઉઠી છે ડોદરામાં રામદેવ સામે ડોક્ટરોએ વિરોધ કર્યો હતો અને PPE કીટ પર રામદેવની ધરપકડ કરવાની માંગ સાથેનું લખાણ લખી આજે 1લી જૂનને કાળા દિવસ તરીકે જાહેર કર્યો.
બાબા રામદેવનું વિવાદિત નિવેદન
મહત્વનું છે કે રાવદેવે કોરોના વાયરસ સંક્રમણની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે કોવિડ-19ની સારવારમાં એલોપથી દવાઓ લેવાથી લોકો મરી રહ્યા છે તેવા નિવેદન બાદ લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. એટલું જ નહીં બાબા રામદેવે ડોક્ટોરો સામે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું હતું કે ''ડોક્ટર બનવા માટે ડીગ્રીની જરૂર નથી, ડોક્ટર બનવું હોય તો મારા જેવા ડોક્ટર બનો'' એવા નિવેદન બાદ ડોક્ટરોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનો વિરોધ
સૌપ્રથમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે બાબા રામદેવે કોરોનાની સ્થિતિનો લાભ લઈને એલોપેથી વિજ્ઞાન સાથે જોડાયેલા ડોક્ટર્સ અંગે કુપ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે. IMA દ્રારા બાબા રામદેવ ખુલ્લેઆમ અફવા ફેલાવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. આ ઉપરાંત બાબાએ દિવંગત ડૉક્ટર્સ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી અંગે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો.
સમગ્ર દેશમાં બાબા રામદેવ સામે વિરોધ
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બાબા રામદેવ સામે એલોપેથી ડૉક્ટરોએ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં બાબા રામદેવ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. અમદાવાદ મેડિકલ એસો. અને ગુજરાત મેડિકલ એસો. દ્વારા બાબા રામદેવ વિરુદ્ધ અરજી અપાઈ હતી અને બાબા રામદેવ બિનશરતી માફી માગે તેવી માંગ કરાઈ છે.