વડાપ્રધાન મોદીએ આજે તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. PM મોદીએ વર્ષના છેલ્લા મન કી બાત કાર્યક્રમમાં લોકોને ઘણી વાતો કરી હતી
જો કે, મન કી બાત કાર્યક્રમ દરમિયાન દેશમાં જુદા જુદા સ્થળોએ વિરોધ પણ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમના વિરોધમાં સિંઘુ બોર્ડર પર બેઠેલા ખેડુતોએ થાળીઓ વગાડી હતી અને કહ્યું હતું કે બહુ મન ની વાત થઇ ગઈ. PM મોદી હવે વતન ની વાત વાત કરો.
કોરોના સમયગાળા દરમિયાન લોકોના સમર્થન બદલ આભાર માન્યો
મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કોરોના સમયગાળા દરમિયાન લોકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. આ સિવાય તેમણે કહ્યું હતું કે દેશની સામે પહેલા અનેક પડકારો હતા, ઘણી સમસ્યાઓ પણ આવી હતી, સપ્લાય ચેઇન સંબંધિત અનેક અવરોધો હતા, પરંતુ આપણે દરેક સંકટમાંથી નવા પાઠ શીખ્યા.
PM મોદીએ ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રોના બલિદાનને પણ યાદ કર્યું
આ ઉપરાંત PM મોદીએ ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રોના બલિદાનને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે આ દિવસે ગુરુ ગોવિંદજીના પુત્રો, સાહેબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતા ચણી દેવાયા હતા. મૃત્યુની તેમની સામે હોવા છતાંય તેઓ ટસના મસ ન થયા.
ખેડૂતોએ વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમનો જોરદાર વિરોધ કર્યો હતો
આ દરમિયાન કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમનો જોરદાર વિરોધ કર્યો હતો. યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ ખેડુતોએ વડાપ્રધાનની 'મન કી બાત' વિરુધ્ધ માત્ર સૂત્રોચ્ચાર જ કર્યા ન હતા, પણ તાલ, થાળી અને વાસણો વગાડીને વિરોધ કર્યો હતો. કેટલાક ખેડૂતો પાસે ટીન ડબ્બા પણ હતા, જેને તેઓ લાકડીઓથી જોરથી વગાડતા નજરે પડ્યા હતા.
ઝારખંડમાં પણ વિરોધ દર્શાવવામાં આવ્યો
આ નજારો રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ દિલ્હીની સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર જોવા મળ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત દિલ્હી સિવાય ઝારખંડની રાજધાની, રાંચીના આલ્બર્ટ એક્કા ચોકમાં અખિલ ભારતીય કિસાન સભા (AIKS) ના કાર્યકરો અને સમર્થકોએ વિરોધ દર્શાવ્યો હતો.