શ્રીલંકામાં સરકાર વિરોધી દેખાવ દરમિયાન મોતની પહેલી ઘટના બની છે. ટીયરસ ગેસના શેલને કારણે ગૂંગળામણ થતા એક દેખાવકારનું મોત થયું છે.
શ્રીલંકા સંકટમાં મોતની પહેલી ઘટના બની
ભીડને કાબૂમાં કરવા સેનાએ છોડ્યાં ટીયરગેસના શેલ
ગૂંગળામણ થતા પ્રદર્શનકારીનું મોત
શ્રીલંકામાં લોકો સરકારની સામે રણે ચડ્યાં છે. આજે દેખાવકારો પ્રધાનમંત્રી આવાસમાં ઘુસી ગયા હતા અને તેમના રાજીનામાની માગણી કરી હતી. તેમણે પીએમ આવાસમાં મોટાપાયે ઉત્પાત મચાવ્યો હતો. પીએમ આવાસની બહાર પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. પ્રધાનમંત્રી આવાસની બહાર ભેગા થયેલા લોકોને વિખેરવા માટે કાર્યવાહક રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ સેનાને છૂટો દોર આપ્યો હતો. ત્યાર બાદ સેનાએ લોકોને વિખેરવા માટે ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો જેના ધૂમાડામાં ફસાઈ જતા એક દેખાવકારને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તે બેભાન બની ગયો હતો. પોલીસ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું.
કાર્યકારી રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ સેનાને છૂટો દોર આપ્યો
કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા મહિંદા રાજપક્ષેએ સેનાએ આદેશ આપીને લોકોના દેખાવને કાબુમાં લેવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી ગયા હતા અને રાનિલ વિક્રમસિંઘેને તેમના પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં વિરોધીઓ વધુ આક્રમક બન્યા હતા અને વડાપ્રધાન કાર્યાલયને ઘેરી લીધું હતું. પ્રદર્શનકારીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા. આ સાથે જ તેમણે નેશનલ ટીવી ચેનલ પર પણ કબ્જો કરી લીધો અને ચેનલને ઓફ એર કરી દીધી.
શ્રીલંકામાં આર્થિક-રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ફરાર થયા છે જેને કારણે જનતા રોષે ભરાઈ ગઈ છે. ગોટબાયાએ હજુ સુધી રાજીનામું પણ આપ્યું નથી, જેના કારણે રોષે ભરાયેલી જનતાએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધું છે. અત્યારે શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.
સરકારી ટીવી ચેનલ પર કબજો કર્યો પ્રદર્શનકારીઓએ
સંસદ અને પીએમ આવાસ પરના હુમલા બાદ પ્રદર્શનકારીઓે દેશની રાષ્ટ્રીય ચેનલ પર કબજો જમાવી દીધો હતો. પ્રદર્શનકારીઓ સરકારી ન્યૂઝ ચેનલમાં પણ ઘૂસી ગયા છે. એટલું જ નહીં, એક પ્રદર્શનકારી ત્યાં ન્યૂઝ એન્કર બનીને બેસી ગયો અને બોલવા લાગ્યો.