નારણપુરામાં રોડ કપાત મુદ્દે સ્થાનિકોમાં રોષ યથાવત, બેનરો લગાવીને તથા પત્રિકાનુ વિતરણ કરીને લોકોને આંદોલનમાં જોડવાનો પ્રયાસ
નારણપુરામાં રોડ કપાત મુદ્દે પત્રિકા વિતરણ
નારણપુરા વિસ્તારમાં પત્રિકાઓ વહેંચવામાં આવી
રોડ કપાતની કામગીરી સ્થગિત રાખવા સ્થાનિકોની માગ
શહેરના નારણપુરા વિસ્તારમાં રોડ કપાતને લઈ રાજકારણ ગરમાયું છે. નારણપુરા ગામથી નારણપુરા રેલવે ક્રોસિંગ સુધીના દોઢ કિલોમીટરના 80 ફૂટના રોડને 100 ફૂટનો કરવાનો નિર્ણય કરતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ઘરે ઘરે જઇને પત્રિકા વહેંચીને વિરોધ નોંધાવ્યો છે.
પત્રિકાનું વિતરણ કરી આંદોલનમાં જોડાવાનો પ્રયાસ
રોડ કપાત મુદ્દે મેયર અને કમિશનરને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ઘરે ઘરે જઇને પત્રિકા વહેંચીને અન્ય લોકો પણ આંદોલનમાં જોડાય તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત તંત્રના વિરોધમાં ઘર અને દુકાનો બહાર બેનેરો પણ લગાવવામાં આવ્યા હતા. બિલ્ડરોના લાભ માટે રોડ પહોળા કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો. સ્થાનિકોની બસ એક જ માગ છે કે રોડ કપાતની કામગીરી સ્થિગિત કરવામાં આવે.
રોડ પહોળો કરાતા 100 દુકાનો અને 50થી વધુ ઘરો કપાતમાં જશે
70 વર્ષ જુના મકાનો કપાતમાં જઇ રહ્યા છે.
શું છે સ્થાનિકોની માંગ
સ્થાનિકોના જણાવ્યાનુસાર ટી.પી.સ્કીમ.નંબર-૧૯,મેમનગરમાં આવતો આ રોડનો વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ધારાસભ્ય કૌશિક પટેલ,પૂર્વ મેયર ગૌતમ શાહ,વર્તમાન ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલનો મત વિસ્તાર છે.આ રોડ ઉપર નથી મેટ્રો કે ટ્રાફિકની સમસ્યા.મળતીયા બિલ્ડરોને લાભ કરાવવા સો ફૂટનો રોડ કરવા પેરવી કરાઈ રહી છે.
શું કહ્યું હતુ મેયરે ?
અગાઉ 23 માર્ચે પણ આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. મેયરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે નારણપુરાના લોકો મોડા જાગ્યા છે.1975થી આ પ્રક્રિયા ચાલતી હતી.ટીપી ખોલવાના સમયે આ લોકો આવ્યા છે. અમુક લોકોના વ્યક્તિગત સ્વાર્થને લીધે વિકાસ અટકાવી શકાય નહિ.રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે મુજબ જ કામ થશે.બિલ્ડરોના લાભની કોઈ વાત નથી..