ગુજરાતમાં ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષા અગાઉ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આંદોલન કરાયું, રાણીપ પોલીસે કરી અટકાયત, માસ પ્રમોશન આપવાની કરી માગણી
ગુજરાત અમદાવાદમાં ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓનું આંદોલન
માસ પ્રમોશન આપવાની માગણી સાથે રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ
રાણીપ પોલીસે વિદ્યાર્થીઓને અટકાયત કરીને પોલીસ મથક લઈ ગઈ
ગુજરાતમાં કોરોનાના કારણે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાઈ ચૂક્યું છે. જ્યારે ધો.10ના વિદ્યાર્થીઓનું પરિણામ પણ આવી ચૂક્યું છે. પરંતુ સમગ્ર મામલામાં રિપીટર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે રિપીટર વિદ્યાર્થીઓ એકઠા થઈને પોતાના માસ પ્રમોશનની માગણી ઉઠાવી હતી. મહત્વનું છે કે, 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. એ પહેલા રિપીટર વિદ્યાર્થીઓ આંદોલન કરવા જતાં પોલીસે અટકાયતની કામગીરી હાથ ધરી હતી. રાણીપ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી.
મહત્વનું છે કે, ધોરણ 10 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષા શરૂ થવાની છે. અને બોર્ડની વેબસાઈટ પર હોલટિકિટ પણ જાહેર કરી દેવાઈ છે. gseb.org અને gsebht.in વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મેળવવાની રહેશે. જો કે, આ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ માસ પ્રમોશન માટે લડત કરી રહ્યા છે.
રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળ્યો નથી. જેને લઈ વાલી મંડળ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ છે કે, રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન થવું જોઈએ. અને કોંગ્રેસ પણ લાંબા સમયથી આ વાત પર અડગ હતી. પરંતુ થોડા દિવસ અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કરી દીધું છે. અને કહ્યું કે, અમે સમજીને જ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કર્યું છે. અને પરીક્ષા લેવાશે.