લોકસભા ચૂંટણી પહેલા સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ગીર-સોમનાથમાં સોમનાથ-અંબુજા રેલ્વે લાઇનનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ગામોમાં બીજા દિવસે પણ આ રેલવે લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો. ત્રણેય તાલુકામાં ખેડૂતોએ ગામડે ગામડે મીટિંગો યોજી હતી. અંબુજા GHCL શાપરજી-પાલનજી જેવી કંપની માટે બનતી રેલ્વનો વિરોધ કર્યો હતો.
મહત્વનું છે કે ખાનગી કંપનીઓ માટે બનનાર રેલવે લાઈનમાં 40 ગામની ફળદ્રુપ જમીન સંપાદિત થવા જઈ રહી છે. રેલ્વેને કારણે 50 હજારથી વધારે લોકો અસરગ્રસ્ત બનશે. ગીરના લીલી નાઘેર ફળદ્રુપ વિસ્તારમાં આ રેલવે લાઈન નાખવામાં આવતી હોવાથી તેમા 400 ખેડૂતોની સંપૂર્ણ જમીન જઇ રહી છે.
જ્યારે અંદાજે 1500થી વધારે ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે તેવામાં જમીન સંપાદનને લઇને 40 ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.