તાપી જિલ્લાના વ્યારા શહેર ખાતે તાપી નર્મદા લિંક પરિયોજનાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પી જિલ્લામાં ડેમ વિરોધ અંગે આજે આદિવાસી એકતા મંચ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જેમાં વ્યારાના મિશન નાકા પાસે એકત્ર થઈ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરીને રેલી નીકળી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અધિક ક્લેક્ટરને આવેદન સોંપ્યું હતું.
38 ગામો થશે પ્રભાવિત
પાર- તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત તાપી ખાતે અનેક લોકો વિસ્થાપિત થવાની શકયતાને લઇને આદિવસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે વ્યારાના મિશન નાકા ખાતેથી આદિવાસી એકતા મંચના નેજા હેઠળ વિરોધ રેલી યોજી હતી. તાપી જિલ્લામાં આ પરિયોજનાને લઈને અંદાજે 38 જેટલા ગામો પ્રભાવિત થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં આજે તાપી , ડાંગ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી અગેવાનો સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસ ના વ્યારા, વાંસદા, નિઝર અને માંડવી ના ધારાસભ્ય સહિત પૂર્વ મંત્રી તેમજ જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા અને આ વિરોધ ને સમર્થન આપ્યું હતું
ઝીંક પ્રોજેકટનો MOU રદ કરવાની માગ
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકો દ્વારા આજે પાર તાપી નર્મદા લિંક પરિયોજનાના વિરોધ સહિત તાપી ખાતેના ઝીંક પ્રોજેકટનો mou પણ રદ કરવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ યોજના રદ કરવાની માંગ પણ કરી હતી. ત્યારે હવે જોવુ રહ્યુ કે આગામી સમયમાં આદિવાસીના વિરોધને પગલે શું કાર્યવાહી કરવામાં આવે છે? શું આદિવાસીઓની માગને સ્વીકારવામાં આવશે ?