રાજકોટમાં વેપારીઓ દ્વારા નવા ટ્રાફિકના નિયમોનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં 16મી સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમોનો અમલ શરુ થયો છે ત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સરકારના આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના જંક્શન વિસ્તારમાં વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. આ વેપારીઓ શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત બનવાનો વિરોધ કરી રહ્યા હતા.
વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો
રાજકોટમાં ટ્રાફિકના નવા કાયદાનો વિરોધ
ધરણા પહેલા જ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
વેપારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી
વેપારીઓએ જો તેમની માંગ માનવામાં નહીં આવે તો ધંધો રોજગાર બંધ રાખવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી અને સરકાર સામે બાંયો ચડાવી હતી. જોકે પોલીસે અહી કોઈ મોટું પ્રદર્શન થાય તે પહેલાં જ સમયસુચકતા દાખવી હતી.આ વેપારીઓ વિરોધ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
રાજકોટમાં નવા ટ્રાફિક નિયમોને લઇ કોંગ્રેસે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે વિરોધ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. પોલીસ દ્વારા મંજૂરી લીધા વગર જ ધરણાનું આયોજન કરતા પોલીસે કોંગ્રેસના 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં કોંગ્રેસની ઝુંબેશ
રાજકોટ બાદ અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વધુમાં વધુ લોકો તેની સાથે આ વિરોધમાં જોડાય તેના પુરા પ્રયાસ કરવામાં આવે છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં નવા નિયમોને લઈને વિરોધ નોંધાવ્યો. જશોદાનગર ચાર રસ્તા પર એકત્રિત થઈને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.