ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત બાદથી દેશભરમાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઉન્નાવથી લઇને લખનઉ અને દિલ્હી સુધી જબરદસ્ત પ્રદર્શન થઇ રહ્યું છે. શનિવારે સાંજે મહિલા સુરક્ષાને લઇને દિલ્હીના રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ નીકાળવામાં આવી.
પોલીસ અને પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચેના ઘર્ષણમાં કેટલીક યુવતીઓને ઇજા થઇ
પ્રદર્શન કરનાર લોકોએ આગળ વધતા પોલીસના બેરિકેડ તોડી નાંખ્યા
આ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શન કરનાર લોકોને રોકવાની કોશિશ કરી, તો લોકોનો ગુસ્સો વધી ગયો. પ્રદર્શન કરનાર લોકોએ આગળ વધતા પોલીસના બેરિકેડ તોડી નાંખ્યા. ત્યારબાદ પોલીસે પ્રદર્શન કરનાર લોકોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો.
આ કેન્ડલ માર્ચ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલની આગેવાનીમાં નીકળી છે. સ્વાતિ માલીવાલ રાજઘાટ પર આમરણ અનશન પર બેઠા હતા. આજે તેઓ રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ પર નીકળ્યા છે.
પોલીસ અને પ્રદર્શન કરનાર લોકો વચ્ચેના ઘર્ષણ દરમિયાન ઘણી યુવતીઓ બેભાન થઇ ગઇ છે. વિરોધ પ્રદર્શન કરી રહેલી કેટલીક યુવતીઓ અને મહિલાઓને ઇજા પણ પહોંચી છે. પ્રદર્શન કરનાર લોકોના હાથમાં બેનર છે અને તેઓ 'વી વોન્ટ જસ્ટિસ' ના નારા લગાવી રહ્યા છે. લખનઉથી લઇને દિલ્હી સુધી થઇ રહેલા પ્રદર્શનને જોતા અંદાજો લગાવી શકાય છે કે, મહિલાઓ વિરુદ્ધ ગૂનાઓને લઇને દેશમાં કેટલો ગુસ્સો છે.
દિલ્હીમાં કેન્ડલ માર્ચ પહેલા શનિવારે સવારે લખનઉમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. ઉન્નાવમાં પીડિત પરિવારને મળવા પહોંચેલા બીજેપી સાંસદ સાક્ષી મહારાજ, મંત્રી સ્વામી પ્રસાદ મોર્ય અને કમલારાની વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકર્તાઓએ નારેબાજી કરી.