આજે અમદાવાદમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જે બેઠક બાદ આગામી વિધાનસભાની ચુંટણીનો કોંગ્રેસના આગેવાનોએ શંખનાદ કર્યો હતો. મિટિંગમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રભારીઓના મંથન બાદ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યુ હતું કે આજે યોજાયેલી બેઠકમાં મુખ્યત્વે પક્ષની આગામી ચૂંટણી અંગેની રણનીતિની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વધુમાં સોનિયા ગાંધીની પૂછપરછ મામલે 21 મીએ ED વિરૂદ્ધ દેખાવો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ED વિરૂદ્ધ દેખાવો કરવામાં આવશે
વધુમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ બેઠકમાં મારુ બૂથ મારુ ગૌરવ અભિયાનનું રિવ્યૂ કરવામાં આવ્યું છે અને એક બૂથ પર 8 પેજનો ફરમો તૈયાર કરવામાં આવ્યો આવ્યો હોવાનું પણ જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું. આ અભિયાન અંતર્ગત 10 દિવસ બાદ બૂથ અંગેની જવાબદારીની વહેંચણી કરવામાં આવશે. બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર વિરુદ્ધ પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યુ કે ભાજપ પ્રજાના મૂળ મુદ્દાને ભટકાવી રહી છે. વધુમાં સોનિયા ગાંધીને 21મી તારીખે EDમાં હાજર થવાનો આદેશ અપાયો છે જે મામલે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ED વિરૂદ્ધ દેખાવો કરવામાં આવશે. તથા 9 મી ઓગસ્ટના રોજ તમામ જિલ્લા મથકે 75 કિમીની પદયાત્રા કરવા અંગેનું પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું અને ગુજરાતમાં ચૂંટણી હોવાથી ચારેય ઝોનમાં બાઈક રેલી યોજાશે. વધુમાં ચૂંટણીના આગમનને લઇને 20 તારીખ પહેલા સંગઠનની ચૂંટણીની કાર્યવાહી પૂરી કરી લેવામાં આવશે તેમ અંતમાં જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું.
સેતલવાડની ગેંગને સોનિયા ગાંધી અને કોંગ્રેસનું સમર્થન હતું : જીતુ વાઘાણી
બીજી તરફ 2002 માં થયેલા રમખાણો મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. સાથે જ વાઘાણીએ વધુમાં કહ્યું કે તીસ્તા સેતલવાડની ગેંગને અહેમદ પટેલ, સોનિયા ગાંધી અને કોંગ્રેસનું સમર્થન હતું અને કરોડો રૂપિયાની લેવડદેવડ પણ કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ એમ પણ જણાવ્યું હતું કે, અહેમદ પટેલે સોનિયા ગાંધીના કહેવા પર કરોડોની લેતીદેતી કરી હતી જેના ખુલાસા SITએ જે એફિડેવિટ ફાઈલ કરી છે તેમાં થયાં છે. સાથે જ એમપણ જણાવ્યું કે, કોંગ્રેસના આગેવાનોએ સત્તાનો દુરઉપયોગ કર્યો છે.
સંબિત પાત્રાએ પણ કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર
SITના એફિડેવિટને આધાર બનાવીને સંબિત પાત્રાએ કહ્યું કે, એફિડેવિટથી સત્ય બહાર આવ્યું છે કે, આ ષડયંત્ર પાછળ કોણ હતા. સંબિત પાત્રાએ કહ્યું કે, અહેમદ પટેલના કહેવાથી તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે, અહેમદ પટેલ માત્ર એક નામ છે, જેનું પ્રેરક બળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ દ્વારા ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યુ હતું.