લખનૌમાં ગુરુવારે થયેલી હિંસા બાદ UPમાં ફરી એક વખત હિંસા ભડકી છે. શુક્રવારે તોફાની તત્વો દ્વારા થયેલા પ્રદર્શનમાં ઠેર ઠેર તોડફોડ અને લોકોના મોત નિપજ્યા છે.
કાનપુરમાં તોફાનીઓ સડક ઉપર ઉતર્યા
ફિરોઝાબાદમાં વાહનો સળગાવાયા
અયોધ્યામાં વાતાવરણ તંગ
ઉત્તર પ્રદેશના કાનપુર, મેરઠ, ફિરોઝાબાદ, ગોરખપુર અને મુઝફ્ફરનગર સહિતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે હિંસક દેખાવો થયા હતા. UP ડીજીપી ઓ.પી.સિંઘે પુષ્ટિ કરી હતી કે શુક્રવારે રાજ્યમાં થયેલા પ્રદર્શનમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે.
ફિરોઝાબાદમાં વિરોધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં એક પ્રદર્શન દરમિયાન એક તોફાન કરનારને ગોળી વાગી હતી. આ દરમિયાન કાનપુરના જુદા જુદા ભાગોમાં તોફાન કરનારાઓએ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે તોફાનીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મુઝફ્ફરનગર અને મેરઠમાં વિરોધીઓએ નમાઝ બાદ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. મુઝફ્ફરનગરમાં પણ પથ્થરમારો અને આગચંપીના બનાવો સામે આવ્યા હતા.
બિજનોરમાં એક પોલીસકર્મીને પણ ગોળી વાગી છે, જેને સારવાર માટે ખસેડાયો હતો. આ ઉપરાંત, ગાઝિયાબાદ ડીએમ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર આવતીકાલે (શનિવાર) સવારે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. તમામ શાળાઓ પણ બંધ રહેશે તેવી સુચના અપાઈ છે.
કાનપુરમાં તોફાનીઓ સડક ઉપર ઉતર્યા
કાનપુરની હલીમ મુસ્લિમ કોલેજથી યતીમ ખાના તરફ મોં ઉપર કપડા બાંધીને ટોળું પહોચ્યું હતું. નમાઝ બાદ યુવકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. 1 લાખ જેટલા લોકોના ટોળાએ શહેરભરમાં આતંક મચાવ્યો હતો. અનેક ટ્રેનોમાં તોડફોડ કરવામાં આવી છે.
કાનપુરના ગ્વાલટોલીમાં પણ 100-150 છોકરાઓએ પ્રદર્શન કર્યું હતું. કાનપુરના બાબુપુરવાના બગાહી અને મચ્છરીયા વિસ્તારમાંથી દેખાવો અને આગચંપીના સમાચાર મળ્યા હતા. અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન 13 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 9 લોકોને ગોળી વાગી હતી.
કાનપુરમાં થયેલા હિંસક વિરોધને પગલે પોલીસે 25 લોકોની ધરપકડ કરી હતી. એસએસપી કાનપુર અનંત દેવનું કહેવું છે કે આ ઘટના પૂર્વઆયોજિત રીતે કરવામાં આવી હતી અને પરસ્પર ફાયરિંગમાં લોકોને ગોળી વાગી હતી.
ફિરોઝાબાદમાં વાહનો સળગાવાયા
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં દેખાવો શરૂ થયા હતા જેમાં અહીં તોફાનીઓએ સામાન્ય લોકોની સાથે પોલીસની ગાડીઓને પણ આગ ચાંપી દીધી હતી. પોલીસ આ દુર્ઘટનાઓને કાબૂમાં કરવા માટે કામગીરી કરી રહી છે. આ ઘટનામાં ઘણા પોલીસ જવાન ઘાયલ થયા હતા. અહીં પોલીસ ચોકીને સળગાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી.
અયોધ્યામાં વાતાવરણ તંગ
કલમ 144 નું ઉલ્લંઘન કરીને અયોધ્યામાં જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં ભારે ભીડ જોવા મળી હતી. ભીડની સાથે આસપાસના વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ જુલૂસ પરવાનગી લઈને કાઢવામાં આવ્યું હતું પરંતુ સરબજિત મંડી પાસે કેટલાક યુવાનોએ સુત્રોચાર શરુ કર્યો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું.