બિહારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અતિગંભીર: સતત ચોથા દિવસે હિંસક પ્રદર્શન, જહાનાબાદમાં ટ્રક અને બસમાં આગચંપી
બિહારમાં સતત ચોથા દિવસે ભારેલો અગ્નિ
સરકારે 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ કર્યું
રાજનાથ સિંહે બોલાવી ઈમરજન્સી બેઠક
બિહારમાં સતત ચોથા દિવસે પરિસ્થિતિ અતિ ભયાનક
કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે, અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે.
શનિવારે જહાનાબાદ માં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્યાઑ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પણ ભીડની સામે બેબસ દેખાઈ રહી હતી.
ભભૂકી રહ્યું છે બિહાર
બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી.
15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ
સતત બગડતી પરિસ્થિતિને જોતાં બિહારમાં 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે, આ આદેશ 19 જૂન સુધી લાગુ રહેશે.
અગ્નિપથ યોજનાને લઇને રક્ષામંત્રી રાજનાથસિંહે ઇમરજન્સી બેઠક બોલાવી
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે,આજે સવારે 11.30 કલાકે બોવલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા 'ફોર્મેટ' હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.