યસ બેન્કની ૧૫ વર્ષ પહેલાં સહસ્થાપના કર્યા બાદ રાણા કપૂરે બેન્કમાં પોતાનો લગભગ મોટા ભાગનો સ્ટેક વેચી નાખ્યો છે અને હવે તેમની પાસે યસ બેન્કના માત્ર ૯૦૦ શેર રહ્યા છે એવું એક રેગ્યુલેટરી માહિતીમાં જણાવાયું છે. રિઝર્વ બેન્કે રાણા કપૂરનો કાર્યકાળ એક વર્ષ પહેલાં જ સમાપ્ત કર્યો હતો.
યસ બેન્કે જણાવ્યું છે કે રાણા કપૂર અને તેમની પ્રમોટર એનટીટી-યસ કેપિટલ અને મોર્ગન ક્રેડિટે પ્રાઇવેટ સેક્ટરના લેન્ડરમાં પોતાની બાકી ૦.૮ ટકા ભાગીદારી વેચી નાખી છે. પ્રાઇવેટ બેન્કનો શેર મંગળવારે બે ટકાથી વધુ ગગડીને બંધ રહ્યો હતો.
13-14 નવેમ્બરે શેરોનું કર્યું વેચાણ
બેન્કે બીએસઇને આપેલ સૂચનાં જણાવ્યું છે કે પ્રમોટર્સે ૧૩-૧૪ નવેમ્બરના રોજ બેન્કના ૨.૦૪ કરોડ શેર ઓપન માર્કેટમાં વેચ્યા હતા. તેનાથી તેની પાસે હવે ટોકન શેર તરીકે માત્ર ૯૦૦ શેર જ બચ્યા છે.
રાણા કપૂર અને તેમની ગ્રૂપ કંપનીઓએ અગાઉ યસ બેન્કમાં પોતાની ૨.૬ ટકા ભાગીદારી ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૫૧૦ કરોડમાં વેચી હતી. યસ કેપિટલ, મોર્ગન ક્રેડિટ પ્રાઇવેટ અને રાણા કપૂરે ૨૬-૨૭ સપ્ટેમ્બર વચ્ચે બેન્કના કુલ ૫૫૨ લાખ શેર વેચ્યા હતા.
સપ્ટેમ્બર 2018માં આપ્યું હતું આ નિવેદન
રાણા કપૂરે સપ્ટેમ્બર 2018માં યસ બેંકના શેરની સરખામણી હીરો સાથે કરી હતી. ત્યારે રાણા કપૂરે કહ્યું હતું કે જેમ હીરો કાયમ માટે હોય છે, તેમ યસ બેંકના શેર મારી પાસે કાયમ રહેશે. આ શેર હું મારી ત્રણ દિકરી અને તેના બાળકોને આપીશ. જેના માટે હું મારી વસીયતમાં પણ લખીશ કે એક પણ શેરનું વેચાણ કરવામાં ન આવે. આ અગાઉ રાણા કપૂર અને તેના પરિવાર પાસે યસ બેંકના 10.66 ટકા શેર હતા જે કોઇપણ ખાનગી બેંકની સરખામણીએ સૌથી વધારે હતા.