Dhirendra Shastri News: ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હંમેશા વિવાદમાં રહે છે. ત્યારે ગુજરાતમાં પણ બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિરોધ અને સમર્થન એમ બેવડું વલણ જોવા મળી રહ્યું છે.
સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર યોજાશે. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં 2-2 દિવસ બાબાના દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને ગુજરાતમાં વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ થઈ રહ્યો છે.
ગુજરાતમાં યોજાશે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. ગુજરાતના વિવિધ સ્થળોએ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે.
અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભરાશે દરબાર
અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં 2 દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબા બાગેશ્વરનો અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. અંદાજે સવા લાખ લોકો માટે વ્યવસ્થા કરાશે. આ માટે અમે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપીશું. સાથે જ ધારાસભ્ય, કાઉન્સિલર, ચેરમેન, મેયરને પણ આમંત્રણ આપવામાં આવશે.
મહારાજ કોઈ તાંત્રિક નથીઃ આયોજક
બાબા બાગેશ્વરનો દરબાર યોજાય તે પહેલા વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. જેના વિશે વાત કરતા આયોજકે જણાવ્યું કે, 'મહારાજ કોઈ તાંત્રિક નથી. મહારાજ બધાના સવાલોના જવાબ આપશે, તમામના જે પ્રશ્નો છે તેના મહારાજ જવાબ આપશે. અરજીનો સ્વીકાર થાય તો સ્ટેજ પર એ વ્યક્તિને બોલાવાશે.'
સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે.
રાજકોટ અને અમદાવાદથી બાબા બાગેશ્વરને ચેલેન્જ
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર મળ્યો છે. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કહ્યું કે, 'જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ કરે.' તો રાજકોટના સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું છે કે, 'બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જો તેઓ જણાવશે તો હું 5 લાખનું ઈનામ આપીશ' સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની ફેસબુક પોસ્ટે રાજકોટમાં ભારે ચર્ચા જગાવી છે.