કચ્છ યુનિવર્સીટીમાં પ્રોફેસર પર કાળી શાહી ફેંકવાના મામલાને નાગર સમાજે વખોડી કાઢયો છે. ભુજના ટાઉનહોલ નજીક સમસ્ત શિક્ષણપ્રેમીઓએ એકત્ર થઇ વહીવટીતંત્રને આવેદન આપ્યું હતું.
આ ઉપરાંત પૂર્વ સેનેટના સભ્યો શિક્ષણપ્રેમીઓ અને નાગર સમાજના યુવકો ધરણા પર બેઠા હતા. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર પર કાળી શાહી ફેંકવા મામલે ABVPના 15થી 20 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે.
આજે ભુજમાં ટાઉનહૉલ નજીક સમસ્ત ભુજના શિક્ષણપ્રેમીઓ એ એકત્ર થઈ કલેક્ટર કચેરીમાં જઈ વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું હતું. આ ઘટનાને વડનગરા નાગર સમાજે વખોડી જણાવ્યું છે કે શાંતિપ્રિય પ્રજા પર આવા હુમલા થાય તે દુઃખદ ઘટના છે.
તંત્રને આપેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે 'જે સંગઠન પોતાને હિંદુ પરંપરાની જાળવણીના રક્ષક કહેવડાવે છે તેમના દ્વારા ગુરુ-શિષ્યના સંબંધની મર્યાદા ઓળંગાય છે તે દુઃખદ છે.
બક્ષી પર થયેલો હુમલો ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાનું પ્રમાણ આપે છે. આ પ્રવૃત્તિને જો કડક હાથે ડામવામાં ના આવે તો ભુજ શહેર જે કપરા સંજોગોમાં પણ શાંતિપ્રિય રહેલ છે તેની સંસ્કૃતિને હાનિ પહોંચશે.