કોંગ્રેસની હાલત એક ઠારવા જતાં બીજું સળગે તેવી છે. પંજાબમાં માંડ હાશકારો થયો હતો ત્યાં સિદ્ધુએ સંગ્રામ શરૂ કર્યો અને પંજાબનો કકળાટ હતો તેનાથી વધુ વકર્યો.
કોંગ્રેસ માટે પનોતીકાળ?
પંજાબ કોંગ્રેસમાં કકળાટ
છત્તીસગઢમાં અસંતોષ
રાજસ્થાનમાં સત્તા માટે લડાઈ
ક્યારે ઠરશે કોંગ્રેસનો દાવાનળ?
`એક સાંધે ત્યાં તેર તૂટે' તેવી સ્થિતી
પંજાબમાં પાવર પોલિટીક્સ
કોંગ્રેસની હાલત એક ઠારવા જતાં બીજું સળગે તેવી છે. પંજાબમાં માંડ હાશકારો થયો હતો ત્યાં સિદ્ધુએ સંગ્રામ શરૂ કર્યો અને પંજાબનો કકળાટ હતો તેનાથી વધુ વકર્યો, તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની હાલત ઉકળતા ચરૂ જેવી છે. જ્યાં ગમે તે ઘડીએ નવાજૂની થઈ શકે છે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ સ્ફોટક પરિસ્થિતી જોવા મળી રહી છે. જે પંજાબની માફક કોંગ્રેસના ઘરને કલુષિત કરી શકે છે.
છત્તીસગઢનો 'ગઢ' હચમચી ઉઠ્યો
કોંગ્રેસ માટે હાલ પનોતીનો સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પંજાબ કોંગ્રેસ જોવા મળતો ભડકો હજુ શાંત થયો નથી ત્યાં છત્તીસગઢ કોંગ્રેસમાં પણ રાજકીય ગરમી વધી ગઈ છે. છત્તીસગઢ કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો અચાનક જ દિલ્હી પહોંચ્યા છે. તમામ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયા સાથે મુલાકાત કરશે. આ મુલાકાતથી પ્રદેશમાં કેબિનેટમાં ફેરફાર કે નેતૃત્વ પરિવર્તનની વાતો ફરી શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યો આ રીતે દિલ્હી તરફ કૂચ કરતા અનેક તારણો કાઢવામાં આવી રહ્યાં છે. તો આ મામલે સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે કહ્યું કે ધારાસભ્યો આપમેળે ગયા છે, આમાં કોઈ ખાસ વાત નથી. ધારાસભ્યોના દિલ્લી ધામા અંગે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આને કોઈ રાજનીતિના ચશ્માથી જોવાની જરૂર નથી.
પાયલટ ગેહલોતનું પ્લેન ક્રેશ કરવાની તૈયારીમાં
કોંગ્રેસની હલચલની અસર હવે રાજસ્થાન સુધી પહોંચી છે. રાજસ્થાનનું રાજકીય તાપમાન ફરી ઉંચુ આવી શકે છે. આ વખતે બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે. બીએસપીમાંથી કોંગ્રેસમાં આવેલા 4 ધારાસભ્યો બગાવત કરવાના મૂડમાં છે અને અન્ય પાર્ટીના સંપર્કમાં છે. રાજસ્થાનમાં સચિન પાયલોટે અશોક ગેહલોત વચ્ચે ફરી ઉકળાટ વધ્યો છે અને આ ઉકળાટ બહાર આવે તે પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈપણ ઘડીએ ઓપરેશન રાજસ્થાન પાર પાડવા માંગે છે પણ કઈ ઘડીએ તે કહી શકાય નહીં. રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં નવાજૂની જોવા મળી શકે છે પણ એ પહેલાં પંજાબનો કકળાટ શાંત પડવો કોંગ્રેસ હાઈકમાન્ડ માટે અત્યંત જરૂરી છે.