કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ભાજપના ગઢમાં રેલી કરવાના છે. નરેન્દ્ર મોદીના વતનમાં પ્રિયંકા ગાંધી ઔતિહાસીક રેલીને સંબોધન કરવાના છે. પ્રિયંકા ગાંધીની ગુજરાતમાં આ પ્રથમ રેલી છે. ભાજપના ગઢમાં પ્રિયંકાની રેલી અંગેનો જોઈએ આ અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના ગઢ સમાન ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પહેલી વખત જનસભાને સંબોધિત કરવાના છે. આ જનસભા પહેલા 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસની કાર્ય સમિતિની અમદાવાદ ખાતે બેઠક થવાની છે. ગુજરાત કોંગ્રેસે આ જનસભાને ઐતિહાસિક બનાવવા પુરી તાકાત લગાવી દીધી છે.
પ્રિયંકાની સાથે આ જનસભાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરવાના છે. આમ ગુજરાતમાં આ ત્રણેય પ્રથમ વખત સાથે દેખાશે. જેને લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની સૌથી શક્તિશાળી વર્કિંગ કમિટીની બેઠક 58 વર્ષ બાદ ગુજરાતમાં મળવાની છે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અને કોંગ્રેસની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ 1902 1921 અને 1961માં ગુજરાતમાં CWCની બેઠક મળી હતી.
હાલના દિવસોમાં ભાજપ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના લોકસભા વિસ્તાર અમેઠી રાયબરેલીમાં મહેનત કરી રહી છે. નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં રેલી મારફતે કોંગ્રેસને ઘેરી હતી. ત્યારે હવે પ્રધાનમંત્રીના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસનું ઉચ્ચ નેતૃત્વ અને ગાંધી-નેહરૂ પરિવાર એક મંચ પરથી હુંકાર કરવા જઈ રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે કહ્યું કે ગત વખત CWCની ગુજરાતમાં 1961માં બેઠક થઇ હતી. પાર્ટીના રાજ્ય એકમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી રાજ્યમાં બેઠક કરવાનો આગ્રહ કર્યો હતો અને તેમને આ વાતનો સ્વીકાર કરીને બેઠકનું આયોજન ગુજરાતમાં કર્યું છે.
અમિત ચાવડાએ વધુમાં કહ્યુ કે જે રીતે દેશની તમામ સંસ્થાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે. એવામાં ગાંધીનગરમાં થનારી કોંગ્રેસની જન સંકલ્પ રેલીથી સંવિધાન બચાવો લોકતંત્ર બચાવોના સંકલ્પ લઇને આગળ વધવાની વાત કરી છે. આ રેલીમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના CWCના તમામ સભ્યો હાજર રહીને ભાજપ પર પ્રહાર કરશે.