કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ત્રિદિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. જો કે આજે પ્રિયંકા ગાંધી પીએમ નરેન્દ્ર મોદીના સાંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. વારાણસીમાં પ્રિયંકા ગાંધીના આગમનને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિવિધ આયોજન પણ કરવામાં આવ્યું છે અને ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા વારાણસીમાં હોળી મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી વારાણસીમાં મંદિરોમાં દર્શન કરશે અને સાથો સાથ વિવિધ સમાજના લોકો સાથે સંવાદ પણ કરશે. એટલું જ નહીં પ્રિયંકા ગાંધી પુલવામા હુમલામાં શહીદ થયેલા ત્રણ જવાનના પરિવાર સાથે પણ મુલાકાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પ્રિયંકા ગાંધીની મુલાકાત દરમિયાન વિંધ્યવાસિની દેવી મંદિરમાં દર્શન દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. કોંગ્રેસ નેતા રણદિપ સુરજેવાલાએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતુ કે, મોદીજી અને તેમના અંધભક્ત મંદિર કે ધાર્મિક સ્થળને પણ રાજનીતિ સાથે જોડવાનું ચૂકતા નથી.
કોંગ્રેસના પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીના પોતાના ત્રણ દિવસીય યુપી પ્રવાસનો પ્રારંભ સોમવારથી થયો હતો. આજરોજ પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ વારાણસીની મુલાકાતે છે. પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તારમાં પ્રિયંકા ગાંધીની આ પ્રથમ મુલાકાત છે. કોંગ્રેસ દ્વારા વારાણસી ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.