કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં પાર્ટીને લોકસભા ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરશે. પ્રિયંકા 7 જૂને બે દિવસના પ્રવાસ પર પ્રયાગરાજ પહોંચશે અને વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરશે. બાદમાં 8 જૂનના રોજ પૂર્વાચલના 40 પાર્ટી ઉમેદવારો સાથે મુલાકાત કરશે અને ચૂંટણીમાં હારની સમીક્ષા કરશે.
ઉત્તરપ્રદેશ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 1 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી બેઠક પર હારી ગયા હતા. બીજી તરફ ભાજપે 62 અને સપા-બસપા ગઠબંધનને 15 બેઠકો મળી હતી. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકાને ઉત્તરપ્રદેશમાં પૂર્વાચલની જવાબદારી સોંપી હતી. પ્રિયંકા આ જિલ્લાઓમાં તમામ પાર્ટી અધ્યક્ષો પાસેથી હારના કારણો જાણવાનો પ્રયાસ કરશે.
મુલાકાત અને સવાલ-જવાબોના આ પ્રવાસ બાદ પાર્ટી ભવિષ્યની રણનીતિ અને ફેરફારો પર નિર્ણય કરશે. લોકસભા ચૂંટણીમાં રાહુલ પરંપરાગત બેઠક અમેઠીથી હારી ગયા છે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકાના અંગતને આ હારની સમીક્ષા અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. અમેઠીથી 3 વખત સાંસદ રહી ચુકેલા રાહુલને આ વખતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
પહેલી જુને દિલ્હીમાં થયેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયાની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે, અમે લોકસભામાં ભાજપને વોકઓવર નહીં આપીએ. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, દેશમાં કોઈપણ સંસ્થા તમારું સમર્થન નહીં કરે. આ બ્રિટિશ કાળ જેવું છે, જ્યારે એક પણ સંસ્થા કોંગ્રેસના સમર્થન ન હતા આપતા ત્યારે પણ પાર્ટી લડી હતી અને જીતી હતી. અમે ફરી કરીને બતાવીશું.