કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રિયંકા ગાંધીએ ખુદ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે પરંતુ આ વખતે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માં સોનિયા ગાંધીએ લેવાનો છે.
પાર્ટીમાં મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ઘણા સક્રિય છે અને સતત પાર્ટી માટે યૂપીના અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરી રહી છે. છેલ્લા દિવસોમાં તેમણે એક સમર્થકના સવાલ પર વારાણસીથી મોદી વિરૂદ્ધ ચૂંટણી લડાવાને લઇને વાત પણ કરી હતી.
સપા, બસપા અને આરએલડીએ મહાગઠબંધન કરીને કોંગ્રેસ માટે યૂપીમાં માત્ર બે બેઠકોને છોડી ત્યારે કોંગ્રેસે પોતાની ચાલ ચાલી છે. એટલે કે પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઇ ગઇ. પૂર્વ યૂપીના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રથમ પ્રવાસની શરૂઆત પ્રયાગથી વારાણસી સુધી બોટ યાત્રા દ્વારા કરી.
રોડ શોથી મળ્યા સંકેત
વારાણસીમાં બાબા કાશી વિશ્વનાથના મંદિરે દર્શન પણ કર્યા, શહીદોના પરિવારજનોને પણ મળ્યા અને રોડ શો કર્યો. ત્યારબાદ અંદાજ લગાવાયો કે શું પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી લડશે? સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રિયંકા ખુદ પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડાવ પર ગંભીરતાથી વિચારી રહી છે.