લોકસભા ચૂટણીમાં કોંગ્રેસને જીતાડવા પ્રિયંકા ગાંધી મેદાનમાં તો ઉતર્યા પરંતુ માત્ર હાર..હાર.. અને હારનો જ સામનો કરવો પડ્યો. પરંતુ આ હાર તેના માટે એક મોટું હોમવર્ક સાબિત થયું છે. આ હોમવર્કને જ હથિયાર બનાવી પ્રિયંકા કોંગ્રેસને ફરી મજબૂત બનાવવાની દીશામાં ઝંપલાવી ચૂક્યા છે. એટલું નહીં પરંતુ ટુંક સમયમાં પણ પ્રદેશ સંગઠનમાં ધરખમ ફેરફાર પણ કરવા જઈ રહ્યા છે. જે માટે તેણે સ્થાનીય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ પણ શરૂ કરી દીધી છે. એવી પણ માહિતી છે કે, પ્રિયંકા ગાંધી આ ચર્ચાઓ બાદ સંગઠનમાં મોટા પાયે બદલાવ કરતા જમીન સાથે જોડાયેલા અને જનતાના દીલમાં રાજ કરતા ઉત્તરપ્રદેશની કમાન સોંપશે.
પરંતુ આ પ્રકારનો બદલાવ શા માટે? તો આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી લોકસભામાં કોંગ્રેસની હાર બાદ છેલ્લા પાંચ વર્ષ પાર્ટી માટે કરવામાં આવેલા કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. જે દરમિયાન કોંગ્રેસ ક્યાંકને ક્યાંક પોતાના દિગ્ગજ નેતાઓના કારણે જ હારી હોવાનું સામે આવ્યું.
કારણ કે, ક્યાંક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોતાના ડ્રાઈવરને તો ક્યાંક સ્કૂલના પ્રિન્સિપાલને જિલ્લા અધ્યક્ષ બનાવી દીધા છે. જેના કારણે, સ્થાનિય કાર્યકર્તાઓ નારાજ છે. જે સાચા હકદાર છે તેમને સંગઠનથી દૂર રાખવામાં આવી રહ્યા છે.
જોકે આ પ્રકારના કિસ્સા સામે આવતા જ પ્રિયંકા પાર્ટીમાં બદલાવની દીશામાં આગળ વધ્યા છે. કારણ કે, પ્રિયંકાનો મુખ્ય ટાર્ગેટ હવે આગામી 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે જોવું રહ્યું કે, 2022નું મિશન પ્રિયંકા પાર પાડી શકે છે કે નહીં.