ટીવી પર્સનાલિટી ઓપ્રા વિન્ફ્રી બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો ઈન્ટરવ્યૂ લેતા જોવા મળશે. જેમાં પ્રિયંકાએ કેટલીક ચોંકાવનારી વાતો જાણાવી છે. ચાલો જાણીએ.
પ્રિયંકા ચોપડાએ ઓપ્રા વિન્ફ્રી સાથે ઈન્ટરવ્યૂમાં હિન્દુ ધર્મને લઈને કહી મોટી વાત
ઈસ્લામ ધર્મને લઈને પણ એક્ટ્રેસે કહી આ વાત
પ્રિયંકાએ પોતાના ધાર્મિક વિચાર સામે મૂકયા છે
ટીવી પર્સનાલિટી ઓપ્રા વિન્ફ્રીએ થોડાં દિવસ પહેલાં મેગન માર્કલ અને પ્રિન્સ હેરીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો, જેની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ અને વિવાદ પણ થયો હતો. ઓપ્રાના આગળના એપિસોડમાં હવે તે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો ઈન્ટરવ્યૂ લેતા જોવા મળશે. આ ઈન્ટરવ્યૂનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં પ્રિયંકાએ પોતાના ધાર્મિક વિચાર જણાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે તેનો ઉછેર એક ધર્મનિરપેક્ષ વાતાવરણમાં થયો છે. પ્રિયંકાએ પોતે હિન્દુ હોવાની સાથેખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના પ્રભાવનો પણ ઉલ્લેખ કર્યો છે.સાથે પ્રિયંકાએ એ ડર અને અસુરક્ષા અંગે વાત પણ કરી છે જે 20 વર્ષની ઉંમર માં તેણે સહન કર્યો છે.
હિન્દુ પરિવારમાં જન્મી અને કોન્વેન્ટમાં અભ્યાસ કર્યો
પ્રિયંકા ચોપડા ઓપ્રા વિન્ફ્રીના શોમાં પોતાના પુસ્તક અનફિનિશ્ડ (Unfinished)ને પ્રમોટ કરવા પહોંચી હતી. પ્રોમો વીડિયોમાં ઓપ્રા વિન્ફ્રી પ્રિયંકાની સાથે ભારતની આધ્યાત્મિક ઉર્જા પર વાત કરે છે. તેના પર પ્રિયંકા કહે છે કે હાં, જો તમે ભારતમાં છો તો તમે આધ્યાત્મથી દૂર રહી શકો નહીં. અમારા ત્યાં અનેક ધર્મ છે. હું એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણી. મને ત્યાં ખ્રિસ્તી ધર્મ અંગે માહિતી મળી. મારા પિતા મસ્જિદોમાં ગાતા હતા એટલે મને ઈસ્લામની માહિતી ત્યાંથી મળી અને મારો ઉછેર એક હિન્દુ પરિવારમાં થયો.
પ્રિયંકા ચોપડાએ આગળ કહ્યું કે તેના દિવંગત પિતા ડો.અશોક ચોપડા હંમેશા તેને કહેતા હતા કે દરેક ધર્મનો રસ્તો એક જ ઇશ્વરની તરફ જાય છે. તે કહે છે કે હું હિન્દુ છું. હું પૂજા કરું છું. મારા ઘરમાં મંદિર છે. હું જેટલું કરી શકું છું એટલી વખત આ કરું છું. હું જો ખરેખર કહું તો હું એમ માનું છું કે ભગવાન છે. કોઇ એક એવી શક્તિ છે જેના પર હું વિશ્વાસ કરવા માંગું છું.
2018માં જ લખવા માંગતી હતી પુસ્તક Unfinished
પ્રિયંકા ચોપડાએ ઓપ્રા વિન્ફ્રીથી કહ્યું કે તે2018માં પુસ્તક લખવા માંગતી હતી. પરંતુ ત્યારે બિઝી હોવાને કારણે સમય કાઢી ન શકી. પરંતુ કોવિડ-19 સંક્રમણ અને લોકડાઉને તેને આ તક આપી. પ્રિયંકા ચોપડાનું પુસ્તક Unfinished ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલરમાં સામેલ થઇ ચૂક્યું છે.
ઉંમરના આ તબક્કા પર હવે સુરક્ષિત ફીલ કરું છું
પોતાના પુસ્તક અંગે વાત કરતાં પ્રિયંકા ચોપડાએ પોતાના એ ડર અને અસુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો જેમાંથી તે 20 વર્ષની ઉંમર દરમ્યાન પસાર થઇ છે. પ્રિયંકા કહે છે કે એક મહિલા તરીકે હવે હું પોતાને એક સુરક્ષિત જગ્યા પર ફીલ કરું છું, જ્યાં મને લાગે છે કે હું 20ની ઉંમરના દાયકામાં પોતાના ડર અને અસુરક્ષાને પાછળ છોડી શકી છું. હવે મને એ વાતોથી પરેશાની નથી થતી, જેનાથી મને ડર લાગતો હતો. પ્રિયંકા ચોપડાનો આ ઈન્ટરવ્યુ 24મી માર્ચેડિસ્કવરી+ પર પ્રસારિત થશે.