મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ખાનગી શાળાઓને વીજ બિલ અને પ્રોપર્ટી ટેક્સમાં કોઈ જ રાહત આપવામાં આવશે નહીં, તેમણે કહ્યું કે, શાળાઓએ વાલીઓ પાસેથી 75 ટકા ફી લીધી છે
ખાનગી શાળા સંચાલકોને મોટો ઝટકો
વીજ બિલ, ટેક્સમાં માફી નહીં મળે
CM રૂપાણીએ ફગાવી માગ
ખાનગી શાળાઓએ રાજ્ય સરકાર સામે કરેલી રાહતની માગ મુદ્દે મોટો ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ખાનગી શાળાઓને વીજ બિલ અને પ્રોપર્ટી ટેક્સમાં કોઈ જ રાહત આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, શાળાઓએ વાલીઓ પાસેથી 75 ટકા ફી લીધી છે. ખાનગી શાળાઓએ મફતમાં શિક્ષણ નથી આપ્યું, અને તેમની આવકમાં પણ કોઈ મોટો ફેર પડ્યો નથી. જેથી તેમની માગ વ્યાજબી નથી. રાજ્ય સરકારે હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ અન્ય કેટલાક ક્ષેત્રોને વીજ બિલ અને પ્રોપર્ટી ટેક્સમાં એક વર્ષ માટે રાહત આપી છે અને આ જ પ્રકારે ખાનગી શાળાઓને પણ રાહત મળે તેવી માગ સંચાલકોએ કરી હતી.
અમદાવાદની શાળાઓમાં નવા સત્રની સ્કૂલ ફી મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફી માળખા મુદ્દે અમદાવાદ DEOનું નિવેદન સામે આવ્યું છે. FRCએ ચાલુ વર્ષની ફી માટેનું માળખું નક્કી કર્યું નથી. શાળાઓએ FRCને દરખાસ્ત મોકલી છે. અને દરખાસ્ત કરતા વધુ ફી ઉઘરાવતી શાળાઓ સામે કાર્યવાહી પણ કરાશે. અમદાવાદ DEOએ કહ્યું ફી નિર્ધારણ પછી શાળાઓએ ફી સરભર કરવી પડશે. અત્યારે તમામ શાળાઓ દ્વારા ક્વાટર મુજબ ફી લેવામાં આવી છે. એટલે કુલ ફીના ચોથા ભાગની ફી જ લેવામાં આવી છે.
ક્યારે આવ્યું FRCનું માળખું
વર્ષ 2017માં FRCનું માળખું ગોઠવવામાં આવ્યું હતું. જેમના દ્વારા ફીને લઈ કેટલાક નિયમ અને સજાની જોગવાઈ બનાવવામાં આવી છે. આ સાથે 2017થી ફીનું જે માળખું બનાવવામાં આવ્યું તેને આગામી 3 વર્ષ માટે લાગું કરવાનો નિર્ણય કરાયો હતો. તેમની અવધી વર્ષ 2020માં પૂર્ણ થઈ રહી હતી. પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકાર દ્વારા શાળાઓને સૂચન આપવામાં આવ્યું હતું. જેમાં ફી વધારો ન કરવા શાળાઓને કહેવાયું હતું. સાથે ફીમાં કેટલીક છૂટ આપવાની પણ વાત સરકારે શાળાઓ કરાઈ હતી. આમ છતાં એકાએક નવા સત્રની શરૂઆત થતા ફી વધારો કરવામાં આવ્યો છે.
નવા વર્ષની શરૂઆત થતા શાળાઓની મનમાની જોવા મળી રહી છે. શાળાઓ દ્વારા ફી વધારો કર્યો હોવાની ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે. કેટલીક શાળાઓ વાલીઓ પાસે 10-12 ટકા ફીનો વધારો માગી રહી છે. અને કેટલીક શાળાઓ દ્વારા ફી વધારો ન આપનારા વાલીઓને તેમના બાળકોને લિવિંગ સર્ટી આપી દેવાની વાત પણ સામે આવી રહી છે.