અનેક વાર નરેશ પટેલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. ત્યારે નરેશ પટેલ રાજકારણની શરૂઆત કરશે કે કેમ તે અંગે અટકળો તેજ થઇ છે.
અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખે નરેશ પટેલની મુલાકાત લીધી
નરેશ પટેલના રાજકીય પ્રવેશ પૂર્વે મુલાકાત અનેક અટકળો
પટેલ અને ક્ષત્રિય સમાજની રાજકીય ધરી એક થવા જઈ રહી છે.?
પાટીદાર સમાજના અગ્રણીનેતા નરેશ પટેલ રાજકારણની શરૂઆત કરશે કે કેમ તે અંગે અટકળો તેજ થઇ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નરેશ પટેલ બેઠક કરશે. કેસ પાછા ખેંચવામાં આવશે કે કેમ તેને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે, અને નરેશ પટેલ તેમનું રાજકારણનું સ્ટેન્ડ લઈ શકે છે. તો આ તરફ અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખે પણ નરેશ પટેલની મુલાકાત લીધી હતી. જેને લઈને નરેશ પટેલના રાજકીય પ્રવેશ પૂર્વે મુલાકાત અનેક અટકળો સર્જાઇ હતી.
અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખે નરેશ પટેલની મુલાકાત લીધી
પરંતુ દિગ્વિજયસિંહ પરમારે આ મુલાકાતને રાજકીય રંગ ન અપાવા જણાવ્યુ હતું. તેમજ નરેશ પટેલે કઇ પાર્ટીમાં જોડાવવું તે તેમનો નિર્ણય છે તેમ જણાવ્યુ હતું. તો આ તરફ મહત્વના સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે હોળી બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. મહત્વનું છે કે, કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા તરીકે નરેશ પટેલને પ્રમોટ કરી શકે છે. કોંગ્રેસ જીતે તો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપી શકે છે.
વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું
અગાઉ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલની બે વાર બેઠક થઇ છે. તો આ તરફ AAP પાર્ટી તરફથી પણ નરેશ પટેલને આમંત્રણ મળ્યાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. અગાઉ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ નથી.તો બીજી તરફ નરેશ પટેલને ભાજપના જોડાવવા અંગે ભાજપના નેતાઓએ કમર કસી છે. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આજે નરેશ પટેલને સત્તાવાર જોડાવાનું આમંત્રણ આપવા અંગેની જાહેરાત કરી હતી.
નરેશ પટેલે હોળી બાદ રાજકીય પ્રવેશ અંગે ખબર પડશે તેવું નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે, રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. ભાજપના લોકો આવશે તેની મને ખબર નથી. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ અગામી હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગ ખબર પડશે.