ગુજરાતમાં કોરોના વાયરસનાં સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હૉસ્પિટલની બેદરકારી અને અમાનવીય વર્તનનાં અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. અદાવાદમાં દર્દીઓની હાલત કફોડી હોવાનો એક કિસ્સો બન્યો છે.
કોરોના સંકટમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે હોસ્પિટલો
દર્દીને બોપલથી ગાંધીનગર લઇ જવાના 20 હજાર વસૂલ્યા
કોરોના શંકાસ્પદ દર્દીને ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સનાં 20 હજાર રૂપિયા લીધા છે.ખોખરા વિસ્તારમાં રહેતા સુભાષભાઇ જાદવને શંકાસ્પદ લક્ષણો જણાતા અર્બન સેન્ટરે તેમને SVP હોસ્પિટલમાં મોકલ્યા હતા.
વેન્ટિલેટર નહીં હોવાથી દર્દીને બીજે ખસેડવા માટે દવાખાનાએ કર્યો ફોન
SVP હૉસ્પિટલમાં એ દર્દીનાં સેમ્પલ લઈને કહ્યું કે, અમારે ત્યાં એકપણ બેડ ખાલી નથી. જેથી તાત્કાલિક આ દર્દીને બોપલની ખાનગી સરસ્વતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ હૉસ્પિટલમાંથી મોડી રાત્રે દોઢેક વાગ્યે ફોન આવ્યો કે, તમારા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડશે અને અમારી પાસે વેન્ટિલેટર નથી. માટે તમારા દર્દીને બીજે ખસેડી દો. જેથી પરિવારે દર્દીને ગાંધીનગર સિવિલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
દર્દીને શિફ્ટ કરવાનો ચાર્જ 20 હજાર
હૉસ્પિટલે એમ્બ્યુલન્સ બોલાવી આપી હતી. હૉસ્પિટલમાંથી એવું કહેવાયું કે દર્દીને શિફ્ટ કરવાનો 20 હજારનો ચાર્જ ચૂકવવો પડશે. તેની રસીદ પણ આપી છે. પરિવારજનો પાસે પૈસા ન હોવાથી અન્ય સંબંધી પાસેથી ઉઘરાવીને 20 હજાર ચૂકવ્યા હતા. હૉસ્પિટલના પૈસા ખંખેરવાના કિસ્સાને કારણે ખોખરાના શૈલેષે પોતાની આપવીતીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં લોકોની જાણ માટે વહેતો કર્યો છે.